Mumbai

'ત્રીજી મુંબઈ'માં દોડશે લોકલ ટ્રેનો: 40 નવા સ્ટેશનો અને કવચ 5.0 સાથે રેલવેનો મેગા પ્લાન તૈયાર

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
'ત્રીજી મુંબઈ' પ્રોજેક્ટ માટે જમીન સંપાદન ઝડપી બન્યું છે. ભવિષ્યની મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-4 હેઠળ ઉપનગરીય રેલવે નેટવર્કના વિસ્તરણની યોજના બનાવાઈ છે. MRVC દ્વારા કરનાળા-સાઈ-ચિરનેર સુધી સીધી લોકલ ટ્રેન કનેક્ટિવિટી અને 40 સ્ટેશનોને અપગ્રેડ કરાશે. 'કવચ 5.0' અને આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ લાગુ પડશે, જેથી ટ્રેનોની ફ્રીક્વન્સી વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ત્રીજી મુંબઈ'માં દોડશે લોકલ ટ્રેનો: 40 નવા સ્ટેશનો અને કવચ 5.0 સાથે રેલવેનો મેગા પ્લાન તૈયાર

Third Mumbai Railway Network : 'ત્રીજી મુંબઈ' (Third Mumbai) પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આ નવા ઉભરી રહેલા ડેવલપમેન્ટ હબમાં મુસાફરોની ભવિષ્યની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-4 (MUTP-4) પેકેજ હેઠળ ઉપનગરીય રેલવે નેટવર્કના વિસ્તરણની યોજના બનાવવામાં આવી રહી છે. મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC) દ્વારા આ યોજના પર કામ શરૂ કરી દેવાયું છે. જેમાં નવી મુંબઈના એરપોર્ટ ઇન્ફ્લુઅન્સ નોટિફાઇડ એરિયા (NAINA) અને કરનાળા-સાઈ-ચિરનેર અર્બન નોડ્સ સુધી સીધી લોકલ ટ્રેન કનેક્ટિવિટી આપવા અને 40 વધારાના સ્ટેશનોને અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે.

'કવચ 5.0' અને આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ

મુંબઈ ક્ષેત્રમાં લોકલ ટ્રેન સેવાઓની ફ્રીક્વન્સી વધારવા અને બે ટ્રેનો વચ્ચેનો સમયગાળો ઘટાડવા માટે આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેમાં અત્યાધુનિક 'કવચ 5.0' (Kavach 5.0) નો સમાવેશ કરાયો છે. ટ્રેનોને ઊભી રાખવા (સ્ટેબલિંગ) માટે વધારાના ટ્રેક પથરાશે અને જાળવણીની સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટની વિગતો MRVC, સેન્ટ્રલ રેલવે, વેસ્ટર્ન રેલવે અને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર વચ્ચેના સુમેળથી નક્કી થશે. જેના આધારે ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરાશે.

ભવિષ્યની જરૂરિયાતો અને નવા ટર્મિનસ

MUTP-4 આયોજન હેઠળ વર્ષ 2030, 2035, 2040 અને 2047 ના વર્ષો માટે ભવિષ્યમાં સબઅર્બન રેલ મુસાફરોની માંગનું આકલન કરવામાં આવી રહ્યું છે. મુસાફરોના પ્રવાસની પેટર્નથી લઈને નવા રેલવે ટર્મિનસના નિર્માણ સુધીના વિવિધ પાસાંઓ પર અભ્યાસ હાથ ધરાશે. આ સિવાય ફાસ્ટ અને સ્લો લોકલ ટ્રેનો માટે અલગ ટ્રેક તથા ઉપનગરીય અને મેઇલ/એક્સપ્રેસ ટ્રાફિકને અલગ કરવા માટેની પણ ચકાસણી હાથ ધરવામાં આવશે.

'મિશન ઝીરો ડેથ' અને મુસાફરોના પ્રવાસની સુવિધા

રેલ મંત્રાલયના 'મિશન ઝીરો ડેથ' હેઠળ સ્ટેશનો પર એક્સેસ કંટ્રોલ સિસ્ટમ લાગુ કરીને બિનઅધિકૃત પ્રવેશ રોકવા માટેના ઉપાયોની ચકાસણી કરાશે. આ યોજનામાં સ્ટેશનોની ક્ષમતા વધારવા, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સરળ સુવિધાઓ ઊભી કરવા અને સુરક્ષિત પ્રવાસ નિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.