Mumbai

ગણેશોત્સવ માટે કોંકણની ટ્રેનો અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
ગણેશોત્સવ માટે કોંકણ જનારા મુંબઈવાસીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. ૧૦ સપ્ટેમ્બરથી કોંકણ રૂટની તમામ ટ્રેનોમાં, જેમાં કોંકણકન્યા એક્સપ્રેસ પણ સામેલ છે, મિનિટોમાં બધી બર્થ બુક થઈ ગઈ. દલાલો દ્વારા ગેરકાયદે ટિકિટ બુકિંગ થતું હોવાની ફરિયાદો વચ્ચે, રેલવેએ ૧૧૦ દલાલો સામે ગુનો નોંધ્યો છે અને IRCTCએ નવી વેબસાઇટનું બીટા વર્ઝન શરૂ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશોત્સવ માટે કોંકણની ટ્રેનો અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ

દર વર્ષની જેમ હજારો લોકોએ રોડમાર્ગે જવું  પડશે

કોંકણની તમામ ટ્રેનોમાં ગણતરીની મિનિટામાં જ બધી બર્થ બૂક

મુંબઈ - દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ માટે કોંકણ જનારા મુંબઇવાસીઓની સ્થિતિ તેવી જ છે. કોંકણની નિયમિત ટ્રેનોમાં ટિકિટ આરક્ષણ શરૃ થતા મિનિટોમાં પૂર્ણ થઇ જાય છે. મુંબઇથી કોંકણ-ગોવા રૃટની લગબગ તમામ ટ્રેનોમાં સ્લીપર કોચ, એસી કોચ રીગ્રેટ એટલે કે વેઇટિંગ લિસ્ટમાં પણ જગ્યા ન હોય તેવી સ્થિતિમાં આવી જાય છે.

આ વર્ષે પણ ભારી સંખ્યામાં મુંબઇથી કોંકણ જનારા લોકોએ ટ્રેનનો વિલ્કપ છોડી અન્ય માધ્યમે પ્રવાસ કરવો પડશે. દરમિયાન પ્રવાસીઓએ ફરિયાદ કરી છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ેકોંકણકન્યા એક્સપ્રેસ જેની સહુથી વધુ ડિમાન્ડ રહે છે, તેમાં ટિકિટ આરક્ષણ મિનિટોમાં જ પૂરું થઇ જાય છે અને તરત જ રીગ્રેટ એવો મેસેજ દેખાવા લાગે છે. રેલવે રિઝર્વેશન સિસ્ટમમાં એક વર્ગ માટે નિશ્ચિત વેઇટિંગ લિસ્ટ હોય છે. આ મર્યાદા પૂરી થઇ ગયા બાદ વધુ રિઝર્વેશન સ્વીકારવામાં આવતા નથી. તેથી સામાન્ય પ્રવાસીઓ વંચિત રહી જાય છે.

 આ વર્ષે ૧૦મી સપ્ટેમ્બરથી કોંકણની તમામ ટ્રેનોના મોટા ભાગના કોચ રીગ્રેટ સ્થિતિમાં છે. જેમાં જનશતાબ્દી, મંગલદ્વીપ, તેજસ, યોગ નગરી ઋષિકેશ-તિરુવનંતપુરમ ઉત્તર/કોચુવેલી, માંડોવી, નેત્રાવતી, મત્સ્યગંધા, રાજ્ધાની ટીવીસી અને કોંકણકન્યા સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ટ્રેનોના તમામ શ્રેણીના કોચ ઉપરાંત વિસ્ટડોમ કોચ પણ રીગ્રેટ સ્થિતિમાં છે.

રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે નહીં પણ લાખો વપરાશકર્તાઓ એક સાથે લોગ ઇન કરી ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરે છે. તેથી આવું બને છે. ઝડપી ઇન્ટરનેટ, ઓટો-ફિલ સુવિધા, મર્યાદિત ઉપલબ્ધ બેઠકો અને વધુ ડિમાન્ડને લીધે ઉપલબ્ધ કોટા અને પ્રતિક્ષા યાદી જલદી ભરાઇ જાય છે. બીજી બાજુ પ્રવાસીઓના આક્ષેપ મુજબ દલાલો દ્વારા મોટા પ્રમાણ ગેરકાયદે ટિકિટો બુક કરાતી હોવાને લીધે આરક્ષણ શરૃ થતાની સાથે જ પૂરું થઇ જાય છે. જોકે ચાલુ વર્ષમાં અત્યાર સુધી ૧૧૦ દલાલો સામે ગુનો નોંધાયો છે. કમર્શિયલ વિભાગ અને આરપીએફ આવા દલાલો ઉપર કડક નજર રખાઇ રહી છે. રેલવેએ પ્રવાસીઓને વિનંતી કરી છે કે ટિકિટની કાળાબજારી કરતી કોઇ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત રેલવેને જાણ કરવી.

ઉપરાંત આઇઆરસીટીસીએ પણ રિઝર્વેશન સિસ્ટમમાં સુધારા કરવા માટે નવી વેબસાઇટનું બીટા વર્ઝન શરૃ કર્યું છે. આમાં ટિકિટ આરક્ષણ ક્ષમતા વધારે છે. બુકિંગ પ્રક્રિયા સરળ બનાવવા માટે તેમાંથી કેપ્ચા જેવા સ્ટેપ હટાવી દેવાયા છે.