Mumbai

ચેમ્બુરમાં મળેલા ઈજાગ્રસ્ત નાગને બેશુદ્ધ કર્યા વિના સીટી સ્કેન કરાયું

By GS Team
16 Jun 20262 mins read
ચેમ્બુરમાં મળેલા ઈજાગ્રસ્ત નાગને બેશુદ્ધ કર્યા વિના સીટી સ્કેન કરાયું

બાંધકામ સ્થળે જખમી અવસ્થામાં મળી આવ્યો

સ્થિર રાખવા જરૃરી ભાગ જ બેશુદ્ધ કરાયો ઃ ફ્રેક્ચર અને ઈજાની સારવાર કરી જીવનદાન અપાયું

મુંબઈચેમ્બુર  વિસ્તારમાં બાંધકામના સ્થળે જખમી અવસ્થામાં મળેલા ઈન્ડિયન સ્પેક્ટેકલ્ડ કોબ્રા (નાગ) પર સીટી સ્કેન કરીને ડોક્ટરોએ જરૃરી ઉપચાર કરીને જીવનદાન આપ્યું છે. નાગ સંપૂર્ણ સાજો થઈ જતાં તેને ફરી જંગલમાં છોડી દેવાયોહ તો. ખાસ વાત એ છે કે સીટી સ્કેન વખતે નાગને બેશુદ્ધ કરાયો નહોતો. ડોક્ટરોએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ સ્કેન કર્યું હતું.

બાંધકામ  સ્થળે જખમી અવસ્થામાં મળેલા નાગ પર પશુચિકિત્સક ડોક્ટરે પ્રાથમિક ઉપચાર કરીને તેને ડાયેગ્નોસ્ટિક્સ લેબમાં મોકલાયો હતો. નિષ્ણાતોએ જખમની તપાસ કરવા યોગ્ય ઉપચાર માટે સીટી સ્કેન કરવાનો નિર્ણય લીધો હતો.

પશુચિકિત્સકના મતે જીવંત સાપનું સીટી સ્કેન કરવું પડકારજનક હતું કેમ કે તેણે આ પ્રક્રિયા દરમ્યાન સ્થિર રહેવું અનિવાર્ય હોય  છે જે નાગના કેસમાં અશક્ય હતું. આથી નાગને સ્કેન પહેલાં વિશેષ લોકલ નર્વ બ્લોક આપવામાં અવાતાં તેનો સંબંધીત ભાગ બેશુદ્ધ કરાયો હતો. આથી જનર એનેસ્થેશિયા આપ્યા વિના સુરક્ષીત રીતે સ્થિર રાખી શકાયો હતો.

એફવીડી નિષ્ણાતે હાઈ રિઝોલ્યુશન થિન સેક્શન ઈમેજિંગ અને મલ્ટીપ્લેનર રિકન્સ્ટ્રક્શન જેવી આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને નાગના શરીરના પાછલા ભાગને સ્કેન કર્યો હતો. સ્કેનમાં નાગના જમણી બાજુ એક જગ્યાએ ફ્રેક્ચર થયું હોવાનું જણાયું હતું. ચામડી પાસે અનેક જગ્યાએ એરપોકેટ્સ તૈયાર થયા હતા અને સોફ્ટ ટિશ્યુને ઈજા થઈ હોવાનું જણાયું હતું.

વન્યજીવ અને દુર્લભ પ્રજાતીના ઉપચાર માટે ઈમેજિંગ  ટેક્નોલોજી કેટલો ઉપયોગી સાબિત થાય છે એનો આ દાખલો છે. સીટી સ્કેનના રિપોર્ટ બાદ નાગ પર ઉપચાર કરીને સંપૂર્ણ સાજો થયા બાદ સુરક્ષીત રીતે કુદરતી આવાસમાં છોડી દેવાયો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.