Mumbai

કોઈ દર્દી મરી જાય તો જીવતો કરશો ?હડતાલ પાછી ખેંચોઃ ડોક્ટરોને હાઈકોર્ટનો આદેશ

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે રેસિડેન્ટ ડોકટરોની હડતાળની સુઓ મોટો નોંધ લીધી છે. કોર્ટે ડોકટરોને તાત્કાલિક હડતાળ પાછી ખેંચવાનો આદેશ આપ્યો અને ફરજ પર ન આવનારના પગાર કાપવાની ચીમકી ઉચ્ચારી. દર્દીઓના ભોગે હડતાળ ન કરવા ટકોર કરી હતી. ભવિષ્યમાં ડોકટરોની હડતાળ પર કાયમી પ્રતિબંધ માટે કોર્ટમિત્રની નિમણૂક કરી છે. આ મામલે 8 સપ્ટેમ્બરે વધુ સુનાવણી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોઈ દર્દી મરી જાય તો જીવતો કરશો ?હડતાલ પાછી ખેંચોઃ ડોક્ટરોને હાઈકોર્ટનો  આદેશ

રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલની સુઓ મોટો નોંધ લઈ હાઈકોર્ટની ઝાટકણી

ભવિષ્યમાં ડોક્ટરો ની હડતાલ પર કાયમી પ્રતિબંધના નિર્દેશૌ માટે  કોર્ટમિત્રની નિયુક્તિઃ ફરજ પર ન  આવે તેમના પગાર કાપવાની પણ ચિમકી

મુંબઈ -  રાજ્યભરની  હોસ્પિટલોમાં દર્દીઓ પર નિવાસી તબીબોના વિરોધ પ્રદર્શનની અસર અંગે ચિંતા વ્યક્ત કરીને મુંબઈ હાઈકોર્ટે ગુરુવારે નિવાસી તબીબોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ હેઠળ હોમિયોપેથની નોંધણી સામેની તેમની હડતાળ તાત્કાલિક પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો.ત્યારબાદ મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ (માર્ડ) એ કોર્ટને ખાતરી આપી કે હડતાળ પાછી ખેંચી લેવામાં આવશે.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે હડતાળની જાતે જ નોંધ લીધી અને જો વિરોધ કરી રહેલા ડોકટરો તાત્કાલિક કામ પર પાછા ફરવામાં નિષ્ફળ જાય તો તેમના પગાર અટકાવવાની ચેતવણી આપી હતી.

કોર્ટે કહ્યું કે, પોતાના અધિકારો માટે આંદોલન કરવું એ દરેક વ્યક્તિનો કાનૂની અધિકાર હોઈ શકે છે, પરંતુ દર્દીઓના ભોગે નહીં. અમે હજારો દર્દીઓ અને મહારાષ્ટ્રના રહેવાસીઓના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છીએ,એમ જણાવી બેન્ચે ડોકટરોને તેમની હડતાળ પાછી ખેંચી લેવા અને તાત્કાલિક કામ પર પાછા ફરવા કહ્યું હતું.

 તમે દર્દીઓના ભોગે હડતાળ શા માટે કરી રહ્યા છો? કાલે તમે તમારા આંદોલનમાં સફળ થઈ શકો છો, પરંતુ શું તમે હડતાળ દરમિયાન મૃત્યુ પામેલા દર્દીેના જીવન પાછા લાવી શકશો? શું તેઓ (વિરોધ કરનારા ડોકટરો) મૃત દર્દીઓને પાછા જીવિત કરી શકશે?એમ હાઈકોર્ટે પૂછયું હતું.

કોર્ટની ટિપ્પણી અનુસાર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વરિષ્ઠ વકીલ એસયુ કામદાર અને માર્ડના પ્રમુખ ડો. અથર્વ શિંદે સંમત થયા અને કહ્યું કે હડતાળ પાછી ખેંચવામાં આવશે.

ત્યારબાદ કોર્ટે વરિષ્ઠ વકીલ વિનીત નાઈક અને એડવોકેટ અમોઘ સિંહને કોર્ટને મદદ કરવા માટે એમિકસ    ક્યુરી તરીકે નિયુક્ત કર્યા અને તેમને એક અરજી તૈયાર કરવા કહ્યું જેથી ભવિષ્યમાં ડોકટરો આવી હડતાળનો આશરો ન લઈ શકે તે માટે જરૃરી નિર્દેશો આપી શકાય.

બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ઇચ્છતી નથી કે હડતાળ વચ્ચે નાગરિક સંચાલિત હોસ્પિટલોમાં એક પણ વ્યક્તિનો જીવ જાય. તેણે આ મામલાની વધુ સુનાવણી  આઠમી સપ્ટેમ્બરના રોજ મુલતવી રાખી છે.

ડોક્ટરોએ હવે કહ્યું છે કે જો સરકાર સાથેની મડાગાંઠ ચાલુ રહેશે તો તેઓ ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ) માં પણ સેવાઓ બંધ કરી દેશે, એમ અદાલતના આદેશમાં નોંધાયું છે.

મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી) હેઠળ હોમિયોપેથિક ચિકિત્સકોને નોંધણી કરાવવા અને એલોપેથિક દવાઓ લખવાની મંજૂરી આપવાના સરકારના નિર્ણય સામે મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૃ કરી હતી.

એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ કોર્ટને માહિતી આપી હતી કે ગયા વર્ષે હાઇકોર્ટે એક વચગાળાના આદેશમાં, એમએમસી સાથે લાયક હોમિયોપેથની નોંધણી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને અરજી કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.હાઈકોર્ટે કહ્યું કે જે સંબંધિત બેન્ચ સમક્ષ અરજી પેન્ડિંગ છે તે આ મામલાની સુનાવણી કરશે અને ઝડપથી નિર્ણય લેશે.

એમએમસીએ ૩૦ જૂનના રોજ એક જાહેરનામું બહાર પાડયું હતું જેમાં હોમિયોપેથ તબીબોને છ મહિનાનો સટફિકેટ કોર્સ ઇન મોર્ડન ફાર્માકોલોજી (સીસીએમપી) પૂર્ણ કર્યા પછી આધુનિક દવાઓ લખવાની મંજૂરી આપવામાં આવી હતી. તેના વિરોધમાં સરકારી અને મહાપાલિકા હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાલનું એલાન આપ્યુું  હતું.