નાસિકમાં ગોદાવરીએ ભયજનક સપાટી વટાવીઃ રામકુંડ પર પાણી ફરી વળ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોમેશ્વર ધોધ ખાતે પાણી વધતાં પર્યટકો પર પ્રતિબંધ
નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરઃ સ્થાનિક લોકોને નદી તટથી દૂર રહેવા માટે ચેતવણી
મુંબઇ - નાસિકમાં સ તત ચાલુ રહેલા મુશળધાર વરસાદને પગલે ગોદાવરી નદી ભયજનક સપાટી વટાવીને ધસમસતી વહેવા લાગી છે. એટલે નાસિક શહેરમાં નદી કાંઠાની આસપાસના વિસ્તારો પર પાણી ફરી વળ્યું છે. નદીના નીચાણવાળા ભાગોની આસપાસ રહેવાવાળા અનેક લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગોદાવરી ઘાટ પરિસરમાં રામકુંડ અને આસપાસના મંદિરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. નાસિક પોલીસ કમિશનર ઓફિસ તરફથી નાસિકવાસીઓને ગોદાવરી તટથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
બેકાંઠે વહેતી ગોદાવરી નદીના કિનારે વસેલા ગામડાના લોકોને સતર્ક રહેવાની જિલ્લા અધિકારી તરફથી અપીલ કરવામાં આવી છે.
ગઇ આખી રાત નાસિકમાં પૂરજોશમાં વરસાદ ચાલુ રહ્યો હતો. ગંગાપુર ડેમમાંથી છોડવામાં આવતું પાણી ગોદાવરી નદી પાત્રમાં ઠલવાતું હોવાથી નદીની સપાટી ઝડપથી વધી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
નાસિક જિલ્લાના સૌથી જાણીતા અને ખાસ તો ટુરિસ્ટો માટે આકર્ષણરૃપ સોમેશ્વર ધોધમાં પ્રચંડ અવાજ સાથે પડતા પાણીને લીધે આ ધોધે રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. જોખમને ધ્યાનમાં લઇને લોકોને અને ખાસ તો પર્યટકોને ધોધથી દૂર રહેવાની અને ધોધમાં નાહવા માટે નહીં પડવાની તાકીદ કરવામાં આવી છે.









