ખાંડના ભાવ વધ્યા તેથી ખેડૂતોને ફાયદોઃ મહારાષ્ટ્રના કૃષિ મંત્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : ખાંડના ભાવ કિલોદીઠ ૭૫થી ૮૦ રુપિયે પહોંચતાં સામાન્ય માણસો માટે ખાંડ કડવી બની છે પરંતુ બીજી તરફ મહારાષ્ટ્રના કૃષિ પ્રધાને એ બાબતે રાજીપો વ્યક્ત કર્યો છે કે ખાંડના ભાવ વધતાં મહારાષ્ટ્રના શેરડી ઉત્પાદક ખેડૂતોને તથા વધારાનો સ્ટોક હોય તેવી સુગર ફેક્ટરીઓને ફાયદો થવાનો છે.
એનસીપી-એપીના ધારાસભ્ય તથા રાજ્યના કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણે પુણેના ઈન્દાપુર બેઠકના ધારાસભ્ય છે. તેમણે એવી ખુશાલી વ્યક્ત કરી હતી કે ખાંડના ભાવવધારાથી મહારાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થઈ જશે. તેમણે કહ્યું હતું કે જે ખાંડ ફેક્ટરીઓ પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક હશે તેમને પણ ફાયદો મળવાનો છે. જોકે, તેમણે દાવો કર્યો હતો કે આમ તો બેન્કોનાં કરજભારણને લીધે મોટાભાગનાં સાકર કારખાનાં પાસે સ્ટોક રહ્યો જ નથી.
મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ વિશે તેમણે કહ્યું હતું કે રાજ્યના અમુક વિસ્તારોમાં જ સારો વરસાદ પડયો છે. અમુક ભાગોમાં મુશળધાર વરસાદ પડયો હતો અને અમુક ભાગ વરસાદ વિના સાવ કોરા રહી ગયા છે. ડેમોમાં પાણીનો સંગ્રહ થયેલો છે. પરંતુ નહેર વાટે પાણી પહોંચાડવાની વહન ક્ષમતા મર્યાદિત હોવાથી જરૂરિયાત મુજબ બધે પાણી પહોંચાડી નથી શકાતું. એટલે સારો વરસાદ પડે માટે વિઠોબાને વિનવણી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
હવે સારો વરસાદ થશે અને તળાવો ભરાઈ જશે ત્યારે ખેડૂતોને રાહત થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.









