અંધેરીના ડો. ચિતલે દંપત્તી તથા તેમના ગૂ્રપના ૬૧નો હજુ પત્તો નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડો. ચિત્તલેનાં લાપત્તા ગૂ્રપમાં પાંચ તબીબો પણ સામેલ
પર્વતારોહણ પ્રવૃત્તિઓ ચલાવતા ડો. ચિત્તલેને હિમાલય ક્ષેત્રનો દાયકાઓનો અનુભવઃ પર્વતીય વિસ્તારોમાં થતી તબીબી તકલીફોના દેશના જુજ અનુભવી તબીબોમાંના એક
મુંબઈ - અંધેરીના ફિઝિશિયન ડો. મિલિંદ ચિતલે, તેમનાં પત્ની તથા પેથોલોજિસ્ટ ડો. મેઘા ચિતલે તથા તેમના ગૂ્રપના ૬૧ પ્રવાસીઓ લાપત્તા બન્યા છે. મુંબઈના તબીબી તથા પર્વતારોહક વર્તુળોમાં ભારે ઉચાટ અને બેચેની છવાયાં છે.
ડો. ચિતલે ખુદ પર્વતારોહણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને અવારનવાર જુદાં જુદાં ગૂ્રપને લઈ જાય છે. તેમનાં આ વખતના ગૂ્રપમાં પાંચ ડોક્ટરો પણ સામેલ છે. મુંબઈની એક ટોચની હોસ્પિટલમાં બ્લડ બેન્ક ચલાવતા ડો. આનંદ દેશપાંડે તથા તેમનાં પત્ની તથા મુંબઈનાં પશ્ચિમી પરાંની એક ટોચની હોસ્પિટલનાં ગાયનેકોલોજી વિભાગનાં હેડ ડો. ગાયત્રી દેશપાંડે પણ આ ગૂ્રપમાં સામેલ છે. આ ઉપરાંત મુંબઈનાં એક ડેન્ટિસ્ટ ડો. મીનાક્ષી રામાણીનો પણ પત્તો મળતો નથી. તેમના પતિ તથા સ્વજનો ભારે આઘાતમાં છે અને તેમની ભાળ મેળવવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.
તેમનાં ગૂ્રપમાં કલ્યાણના સિનિયર સિટિઝન સુનિલ સુબેદારનો પણ સમાવેશ થાય છે. સ્વજનો તેમનો પત્તો મેળવવા માટે દોડધામ કરી રહ્યાં છે.
આ સ્વજનો મહારાષ્ટ્ર અને ભારત સરકાર, નેપાળમાં ભારતીય એમ્બેસી, ટ્રાવેલ એજન્સી તથા અન્ય સ્ત્રોતો દ્વારા તેમના સ્વજનો વિશે કોઈ માહિતી મળે તે માટે પ્રયાસ કરી રહ્યાં છે.
૬૪ વર્ષીય ડો. ચિતલેના ગૂ્રપમાં મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોના પર્યટક પર્વતારોહકો પણ સામેલ હતાં. ગઈ તા. ૨૩મી ઓગસ્ટે તેઓ ૧૪ દિવસના પ્રવાસ માટે નીકળ્યા હતા.
ડો. ચિત્તલે તબીબી અભ્યાસ કરતા હતા ત્યારથી પર્વતારોહણ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. ૧૯૮૮માં તેઓ કાચનજંઘા શિખર સર કરનારા નાગરિક જૂથમાંથી સામેલ હતા. પર્વતારોહણ દરમિયાન પર્વતારોહકોને તબીબી સમસ્યા ઉદ્ભવે તો તેની સારવાર તેઓ આપતા હતા. તેઓ અનેક પર્વતારોહકોને વધારે સારવાર માટે મુંબઈ પણ લઈ આવતા હતા. દેશમાં ઉચ્ચ પર્વતીય સ્થળોએ થતી શારીરિક તકલીફોની જાણકારી તથા સારવારનો અનુભવ ધરાવનારા દેશના જુજ તબીબોમાં તેમનો સમાવેશ થાય છે. તેમને પર્વતારોહણ તથા તેને લગતી તબીબી સેવા માટે અનેક એવોર્ડઝ પણ મળ્યા છે.




