Mumbai

નીટ લીક કેસના આરોપી પ્રોફેસરની બિલ્ડિંગ પર બુલડોઝર ફેરવાયું

By GS Team
3 Jun 20261 min read
નીટ લીક કેસના આરોપી પ્રોફેસરની બિલ્ડિંગ પર બુલડોઝર ફેરવાયું

પેપર લીક કાંડ બાદ બીડનું તંત્ર જાગ્યું

પી  વી કુલકર્ણીએ મંજૂરી વિના જ  ચાર માળની બિલ્ડિંગ બનાવી દીધી હતી

મુંબઈ  - નીટ પેપર લીક કેસમાં ઝડપાયેલા પ્રોફેસર પી વી કુલકર્ણીનાં બીડ ખાતેનાં ચાર માળના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.

વિગત મુજબ, લાતુરના વતની અને રસાયણશાસ્ત્રના નિષ્ણાંત પ્રોફેસર પીવી કુલકર્ણીની ગયા મહિને નીટ- યુજી પેપર લીકના સંબંધમાં પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. પીવી કુલકર્ણી નીટ પ્રશ્નપત્ર સેટ કરનાર પેનલનો પણ ભાગ હોવાનું કહેવાય છે.

બીડ  મહાનગરપાલિકાએ શાહુનગર વિસ્તારમાં સ્થિત ચાર માળની ઈમારતની તપાસ દરમિયાન તંત્રે બાંધકામ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હતી. આમાં કેટલાક ભાગો માટે જરૃરી મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ નિયમો અનુસાર નોટિસ જારી કરીને તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  ભારે મશીનોની મદદથી ઈમારતના ગેરકાયદે ભાગોને દૂર કરવામાં આવ્યા હતા. વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી બાંધકામના નિયમોના ભંગને આધારે કરવામાં આવી છે અને તેનો સીધો સંબંધ ફોજદારી કેસ સાથે નથી.

ઉલ્લેખનીય છે કે, નીટ પેપર લીક કેસને લઈને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા વ્યાપક તપાસ ચાલી રહી છે. મેડિકલ પ્રવેશ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અંગે કુલ ૧૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  આ કેસમાં વધુ તપાસ હજુ ચાલુ છે.