Mumbai

મુંબઈ રાજ્યમાં ધોરણ 11માં 8 લાખથી વધુ બેઠકો ખાલી રહેશે

By GS Team
26 May 20262 mins read
મુંબઈ રાજ્યમાં ધોરણ 11માં  8 લાખથી વધુ બેઠકો ખાલી રહેશે

29 લાખ જગ્યા સામે પ્રથમ રાઉન્ડમાં માત્ર ૧૨ લાખ અરજીઓ જ મળી

જુદા જુદા ક્વોટામાં પણ ૪.૧૬ લાખ બેઠકો ખાલી પડવાનો અંદાજ ઃ ગયાં વર્ષે પણ સાડા છ લાખ બેઠકો ખાલી રહી હતી

મુંબઈમહારાષ્ટ્રમાં ધોરણ ૧૧ની  પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આ વર્ષે ફરી એકવાર ઉપલબ્ધ બેઠકો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો તફાવત સામે આવ્યો છે. રાજ્યમાં ધોરણ ૧૧ માટે કુલ અંદાજે ૨૧.૯૮ લાખ બેઠકો ઉપલબ્ધ છે. જો કે, પ્રથમ રાઉન્ડ માટે પચ્ચીસ મેની સાંજ સુધીમાં માત્ર લગભગ ૧૨.૦૯ લાખ વિદ્યાર્થીઓએ અરજી નોંધાવી હતી. આ પરિસ્થિતિને કારણે રાજ્યભરના જુનિયર કોલેજોમાં આઠ લાખથી વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અધિકારીઓના  જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીએ ધોરણ ૧૧ની બેઠકોમાં ૨૮,૯૨૯નો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં, વિદ્યાર્થીઓની નોંધણીમાં તે પ્રમાણમાં વધારો થયો નથી. કુલ બેઠકોમાંથી અંદાજે ૧૭.૪૨ લાખ બેઠકો નિયમિત પ્રવેશ રાઉન્ડ માટે ઉપલબ્ધ છે, પરંતુ અત્યાર સુધીમાં આવેલી અરજીઓની સંખ્યા ઘણી ઓછી છે. પ્રાથમિક અંદાજ મુજબ નિયમિત પ્રવેશ રાઉન્ડમાં જ  ૫.૩ લાખથી વધુ બેઠકો ખાલી રહી શકે છે.

પરિસ્થિતિ ખાસ કરીને ક્વોટા આધારિત પ્રવેશમાં વધુ ગંભીર માનવામાં આવી રહી છે. મેનેજમેન્ટ અને ઇન-હાઉસ ક્વોટાની બેઠકોમાં ઝીરો રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ ૯.૫૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યા બાદ  લગભગ ૪.૧૬ લાખ બેઠકો ખાલી રહી હોવાનું સામે આવ્યું છે. નિયમિત પ્રવેશ રાઉન્ડની ખાલી બેઠકો સાથે મળીને રાજ્યમાં કુલ ખાલી બેઠકોનો આંકડો આઠ લાખને પાર કરી શકે છે.  જો કે, ગયા વર્ષે પણ અનેક પ્રવેશ રાઉન્ડ બાદ પણ ૬.૫૮ લાખથી વધુ  બેઠકો ખાલી રહી હતી.

શિક્ષણ નિષ્ણાતોના મતે, વિદ્યાર્થીઓમાં વધતા વિકલ્પો આ સ્થિતિ માટે જવાબદાર છે. ઘણા વિદ્યાર્થીઓ હવે ધોરણ ૧૦ બાદ ડિપ્લોમા, આઈટીઆઈ, પોલિટેકનિક અને સ્કીલ આધારિત અભ્યાસક્રમો તરફ વળી રહ્યા છે, જેના કારણે પરંપરાગત જુનિયર કોલેજોમાં પ્રવેશનો રસ ઘટયો છે. સાથે જ વિદ્યાર્થીઓની પસંદગી થોડાક જાણીતા કોલેજો સુધી મર્યાદિત રહેતા નાના અને ઓછી લોકપ્રિય સંસ્થાઓમાં બેઠકો ભરાતી નથી.

વધુમાં આ વર્ષે ધોરણ ૧૧ માં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ ખામીઓ અને ઓનલાઈન પોર્ટલ પર ભારે ટ્રાફિક જેવી સમસ્યાઓ પણ સામે આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂંઝવણમાં મૂકાયા હતા.