મહેસાણા: ઊંઝાના ઉનાવામાં આરોગ્ય સાથે ચેડાં! કેમિકલ કલરની ભેળસેળવાળો ₹19.6 લાખનો 26 ટન વરિયાળીનો જથ્થો જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahesana News: ઘી, પનીર સહિતની ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ કરાતી હોવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા પાસે આવેલા ઉનાવા ખાતેથી કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ.19.6 લાખની કિંમતનો 26 ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો ઝડપાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે ભેળસેળયુક્ત લાખોની કિંમતનો વરિયાળીનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઊંઝાના ઉનાવામાં આરોગ્ય સાથે ચેડાં!
પ્રાપ્ત વિગતો અનુસાર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્કોડે ઉનાવા ખાતે બે જગ્યાએ અચાનક દરોડા પાડ્યા હતા. જેમાં ભાર્ગવકુમાર પ્રવીણભાઈ પટેલનું ગોડાઉન અને પટેલ રાકેશકુમાર તલસીભાઈની પેઢી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વરિયાળીને વધુ પડતી લીલી અને આકર્ષક બતાવવા માટે તેમાં કેમિકલયુક્ત અખાદ્ય કલરની ભેળસેળ કરવામાં આવતી હતી. તેમજ ગોડાઉન માલિક પાસે ખાણી-પીણીની વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી એવું ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ નહોતું.
કેમિકલ કલરની ભેળસેળવાળો ₹19.6 લાખનો 26 ટન વરિયાળીનો જથ્થો જપ્ત
તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અખાદ્ય કલરની પ્રબળ શંકાના આધારે વરિયાળીના ત્રણ કાયદેસરના નમૂના લઈને લેબોરેટરીમાં વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે જ તંત્રએ સ્થળ પરથી રૂ. 19.6 લાખની કિંમતનો 26 ટન જેટલો વરિયાળીનો તમામ જથ્થો સીઝ કર્યો છે અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.









