Magazines

અશોકસ્તંભ વિશે આ જાણો છો?

By GS Team
31 Jan 20201 min read
This article was originally published on 31 Jan 2020
અશોકસ્તંભ વિશે આ જાણો છો?

આપણુ રાષ્ટ્રીય ચિહન અશોકસ્તંભ છે. તે તો તમે જાણતા જ હશો. અશોક સ્તંભમાં એક સ્તંભ ઉપર ચારે દિશા તરફ મોં રાખીને બેસેલા ચાર સિંહનું શિલ્પ છે.

ભારતમાં બે હજાર વર્ષ પહેલા થઈ ગયેલા સમ્રાટ અશોકે તેની રાજધાની સારનાથ અને ઘણા નગરોમાં અશોકસ્તંભ બંધાવેલા. અશોકસ્તંભ ભગવાન બુદ્ધના ઉપદેશનું પ્રતીક છે. સૌથી પ્રસિદ્ધ અશોકસ્તંભ અશોકની રાજધાની સારનાથમાં છે. કહેવાય છે કે ભગવાન બુધ્ધે સારનાથમાં સૌ પ્રથમ ઉપદેશ આપેલો. જેમાં સમાજમાં ધર્મના નામે સમાજનું વિભાજન નહી કરવાનો મુખ્ય ઉપદેશ છે. સારનાથનો અશોકસ્તંભ પત્થરમાંથી કોતરેલો છે. જેમાં ચારે દિશામાં મોં કરીને બેઠેલા ચાર સિંહ છે.

દરેક સિંહની નીચે ૨૪ આરાવાળું અશોકચક્ર છે. ચારે ચક્રની વચ્ચે હાથી, વૃષભ, અશ્વ અને સિંહ એમ ચાર પ્રાણીઓના શિલ્પ છે. ભગવાન બુધ્ધના જન્મ સમયે તેમની માતાને સ્વપ્નમાં સફેદ હાથી દેખાયેલો તેના પ્રતીક રૂપે હાથી છે. ભગવાન બુધ્ધનો જન્મ વૃષભ રાશિમાં થયેલો તેના પ્રતીક રૂપે વૃષભ(આખલો) છે. બુધ્ધ જયારે ગૃહત્યાગ કરીને નીકળ્યા ત્યારે કંથક નામના ઘોડા ઉપર સવારી કરીને નીકળેલા તે ઘોડાના પ્રતીકરૂપે અશ્વ છે. સિંહ એ શક્તિ અને જ્ઞાાનનું પ્રતીક છે.

સમ્રાટ અશોકે ભારતના અનેક શહેરો ઉપરાંત ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા એશિયાના અન્ય દેશોના શહેરોમાં પણ અશોકસ્તંભ બંધાવેલા.