Magazines

બે મહિના પછી મારાં લગ્ન, મને સુહાગરાત કશી જ માહિતી નથી, યોગ્ય માર્ગદર્શન આપશો

By GS Team
4 Feb 20204 mins read
This article was originally published on 4 Feb 2020
બે મહિના પછી મારાં લગ્ન, મને સુહાગરાત કશી જ માહિતી નથી, યોગ્ય માર્ગદર્શન આપશો

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. બે મહિના પછી મારાં લગ્ન છે. સુહાગરાત અને જાતીય સંબંધો વિશે મને કશી જ માહિતી નથી. મને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો. બીજી વાત એ કે, મારા ભાવિ પતિ મારાથી ચાર વર્ષ મોટા છે. ઉંમરનું અંતર અમારા આત્મીય સંબંધોમાં અવરોધરૂપ તો નહીં બને ને?
- એક યુવતી (સુરત)

ઉત્તર : આજની યુવા પેઢીમાં જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. પરંતુ તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સારા લેખકનાં પુસ્તકો વાંચો. સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. કારણ કે એવાં પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચેનું ઉંમરનું અંતર લગ્નજીવનમાં અવરોધરૂપ નહીં બને. તેથી ડર મનમાંથી કાઢી નાખો. આમ ત્રણ-ચાર વર્ષની ઉંમરનો તફાવત તો સામાન્ય ગણાય.


પ્રશ્ન : હું ૧૪ વર્ષનો વિદ્યાર્થી છું. મારી સ્કૂલમાં જ ભણતી એક છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો છે. એ છોકરી જાણે છે કે હું એને પ્રેમ કરું છું પણ મારા પ્રેમના ઊંડાણને એ સમજી શકતી નથી. એટલે હાલમાં એ કોઈ બીજા છોકરાના ચક્કરમાં છે. તેને બીજા શહેરમાં લઈ જઈને એની સાથે લગ્ન કરી લઉં કે આમ દૂરથી જ જોયા કરું? તમારી સલાહ મને મદદરૂપ થશે.
- એક વિદ્યાર્થી (ભાવનગર)

ઉત્તર : કિશોરાવસ્થામાં વિજાતીય પાત્ર માટે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. પરંતુ એને પ્રેમ સમજાને ભૂલ ના કરશો, કારણકે એ ફક્ત આકર્ષણ હોય છે. તમારા આવેગ અને આવેશને શાંત થવા દો અને તમારી કારકિર્દીને જ તમારું લક્ષ્ય બનાવો. થોડાં વર્ષો પછી તમને જ તમારા આ ગાંડપણ બદલ હસવું આવશે. આથી સંયમથી કામ લો અને કોઈ આડુંઅવળું પગલું ના ભરશો. અત્યારે અભ્યાસ સિવાય તમારે બીજી કોઈ બાબતમાં રસ લેવો જ ના જોઈએ.


પ્રશ્ન : હું ૨૨ વર્ષનો, બી.એ.ના ત્રીજા વર્ષમાં ભણતો યુવક છું. મારાં લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં છે, પરંતુ મારાં સાસરિયાંઓ મારી પત્નીને મોકલતા નથી. એટલું જ નહીં, મારી પત્ની મને મળવા, મારી સાથે વાત કરવા કે મારા ઘેર આવવા પણ ઉત્સુક લાગતી નથી. દરમિયાનમાં હું એક અન્ય યુવતીને પ્રેમ કરવા લાગ્યો છું. એ મારી સાથે રહેવા તૈયાર છે. પરંતુ સમાજ અને સાસરિયાંઓ અવરોધરૂપ બન્યા છે, તેથી હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું. મારી પત્ની મારી સાથે રહેવા તૈયાર નથી અને બીજું કોઈ મારી સાથે રહે એ મારી પત્ની અને સાસરિયાંઓને મંજૂર નથી. તો શું આખી જિંદગી મારે એકલા જ રહેવું પડશે?
- એક યુવક (મુંબઈ)

ઉત્તર : લગ્ન પછી પણ તમારી પત્ની તમારી સાથે રહેવા તૈયાર નથી એનું કારણ શું છે? એ તમને મળવાનું તો દૂર, વાત કરવાનું પણ પસંદ કરતી નથી. એની અને તમારા સાસરિયાંઓની નારાજગીનું કોઈ ખાસ કારણ તો હશે જ અને તમે એ બરાબર જાણતા પણ હશો. વડીલોને સાથે રાખી સાસરિયાંઓ સાથે બેસી તમારી સમસ્યાનું સમાધાન કરો. તમારો વાંક હોય તો સ્વીકારી પણ લો. કોઈ બીજી યુવતીના લફરામાં પડવાના બદલે તમારી પત્ની સાથે સમાધાન કરી લો. નહીં તો તમારી સમસ્યા ઉકેલવાના બદલે વધી જશે.


પ્રશ્ન : હું બી.કોમ. ના પ્રથમ વર્ષમાં ભણતી યુવતી છું. મારી પાડોશમાં રહેતો છોકરો મને પ્રેમ કરે છે. એનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને નોકરીની શોધમાં છે. મને પણ એ ગમે છે. અમારા બંનેનાં કુટુંબો વચ્ચે સારો મેળ છે. મારા માતાપિતા આધુનિક વિચારો ધરાવે છે પરંતુ અમે બંને અલગ અલગ જાતિના છીએ. એટલે સમાજના ડરથી તેઓ અમારાં લગ્ન માટે સંમત નહીં થાય એવું મને લાગે છે. આ જ કારણસર, એ છોકરાએ સ્પષ્ટ રીતે પ્રેમની કબૂલાત કરી હોવા છતાં હું ચૂપ રહી હતી. શું હું ચૂપ રહી એ બરાબર હતું?
- એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : જ્યાં સુધી તમારા પ્રેમીને કોઈ સારી નોકરી ના મળે ત્યાં સુધી તમે એની સાથે સંબંધ વધારશો નહીં. ત્યાં સુધીમાં તમારો અભ્યાસ પણ પૂરો થઈ જશે. તેમજ તેની મક્કમતા પણ જણાઈ આવશે. જે તમને એવું લાગતું હોય કે તમારા માટે એ છોકરો સુયોગ્ય છે તો તમારા કુટુંબના કોઈ સભ્યને તમારી ઈચ્છા જણાવો. જો તમારાં માતાપિતા રૂઢિચુસ્ત નહીં હોય તો એ બહુ વિશેષ નહીં કરે.


પ્રશ્ન : હું ૨૩ વર્ષની અધ્યાપિકા છું. મારે બે નાના ભાઈ છે. પિતા હયાત ન હોવાથી એ બંનેની જવાબદારી મારા પર છે. એક ભાઈ કોલેજમાં ભણે છે અને બીજો સ્કૂલમાં. હું ઘણાં વર્ષોથી એક છોકરાને પ્રેમ કરું છું. એ લગ્ન કરવા તૈયાર છે પણ હું હજુ પાંચ-છ વર્ષ સુધી લગ્ન કરી શકું તેમ  નથી. એ ઘણી વાર મને શારીરિક સંબંધ માટે દબાણ કરે છે, પણ હું ના પાડી દઉં છું. આથી મને બીક છે કે એ મારી સાથે સંબંધ તોડી નાખશે તો મારે શું કરવું?
- એક અધ્યાપિકા (વલસાડ)

ઉત્તર : તમારા પર કુટુંબની જવાબદારી હોવાથી તમે લગ્ન ન કરી શકો, એ વાત સાચી મુંઝવણપણ તમે એવો ઉદાર જીવનસાથી પસંદ કરો કે તમે લગ્ન પછી પણ તમારી એ ફરજો બજાવી શકો. જો એ છોકરો આ માટે સંમત હોય તો તમારે એની સાથે લગ્ન કરી લેવા જોઈએ. રહી વાત શારીરિક સંબંધની, તો એવી ભૂલ કદી ના કરશો. જો એ તમને ખરેખર પ્રેમ કરતો હશે, તમને સમજી શકતો હશે તો એ આવા મુદ્દે તમારી સાથેનો સંબંધ કદી નહીં તોડે.

મૂંઝવણ - અનિતા