Gujarat

કોંગ્રેસે આવેદનપત્ર આપતા શાસકોની આંખ ખુલી અમદાવાદમાં પાણી પહોંચતું ન હોય એવા સ્થળોએ બોર બનાવવા મંજુરી

By GS Team
24 Mar 20222 mins read
This article was originally published on 24 Mar 2022
કોંગ્રેસે આવેદનપત્ર આપતા શાસકોની આંખ ખુલી અમદાવાદમાં પાણી પહોંચતું ન હોય એવા સ્થળોએ બોર બનાવવા મંજુરી

અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022

મંગળવારે વર્લ્ડ વોટર ડેના દિવસે અમદાવાદમાં ૨૪ કલાક પાણી આપવાની હાંકવામાં આવતી ગુલબાંગની વચ્ચે પુરતા પ્રેસરથી અનેક વિસ્તારમાં પાણી મળતુ ના હોવા અંગે કોંગ્રેસ તરફથી મેયરને આવેદનપત્ર અપાયુ હતું.આવેદનપત્ર અપાયાના એક દિવસ બાદ પાણી સમિતિની મળેલી બેઠકમાં શહેરમાં પાણી પહોંચતું ન હોય એવા સ્થળોએ નવા બોર બનાવવા રજુ કરવામાં આવેલી તાકીદની દરખાસ્ત સત્તાધારી પક્ષને મંજુર કરવાની ફરજ પડી હતી.પૂર્વ અમદાવાદ સહિત અન્ય તમામ ઝોન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં મંગળવારે ખાલી માટલાં સાથે મેયરને પુરતા પ્રેસરથી પાણી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.બુધવારે પાણી સમિતિના ચેરમેન જતીન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વોટર ઓપરેશન વિભાગ તરફથી બોરવેલ બનાવવા મંજુરી માંગતી તાકીદની બે દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.પૂર્વ અમદાવાદના ઉત્તર,પૂર્વ અને દક્ષિણ ઝોનમાં તથા અન્ય ઝોનમાં જુદા જુદા વોર્ડમાં જે સ્થળોએ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું પાણી પહોંચતુ ના હોય તેવા આઈસોલેટેડ સ્થળો ઉપર તેમજ હયાત બોરવેલ ફેઈલ થાય તેવા સંજોગોમાં ૩૫૦ બાય ૨૫૦ એમ.એમ.ડાયાના તથા ૩૧૦ મીટર ઉંડાઈના બોરવેલ પ્રતિ બોરવેલ ૨૬,૩૧,૩૨૨ના ભાવથી બે કરોડની ખર્ચ મર્યાદામાં બનાવવા મે.ન્યાલકરણ ટયુબવેલ કંપની અને મે.જય વિજય કનસ્ટ્રકશન કંપનીને વર્ક ઓર્ડર આપવા મંજુરી આપવામાં આવી છે.આ બંને દરખાસ્ત હવે સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી માટે મુકાઈ છે.પાણી સમિતિ તરફથી અમદાવાદમાં કયાંય પાણીની તકલીફ નહીં પડે એવા કરવામાં આવેલા દાવાની વચ્ચે વિપક્ષે આપેલા આવેદનપત્રના ગણતરીના કલાકોમાં સમિતિને શહેરમાં નવા બોરવેલ બનાવવાની દરખાસ્ત મંજુર કરવી પડી એ દર્શાવે છે કે,શહેરમાં પાણી મામલે બતાવાતા આભાસી ચિત્રની વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ અલગ જ છે.