સયાજી હોસ્પિટલમાં મારામારી કરનાર ચાર સામે ગુનો દાખલ

વડોદરા,તુલસીવાડીમાં નાના છોકરાઓ વચ્ચે થયેલી તકરાર બાદ વડીલો લડી પડયા હતા.મારામારીમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યા ંપણ તેઓ વચ્ચે મારામારી થઇ હતી.અને હોસ્પિટલમાં તોડફોડ થઇ હતી.
સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા અંકુર ડાહ્યાભાઇ બારોટે રાવપુરા પોલીસને જણાવ્યું છે કે,મારી નોકરી સવારે સાત વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધીની હતી.રાતે આઠ વાગ્યે ઇમરજન્સી સર્કલ પાસે હું તથા મારી સાથે અન્ય સિક્યુરિટી જવાનો હાજર હતા.તે દરમિયાન એમ્બ્યુલન્સમાં એક દર્દી કેફ જમાલુદ્દીન અનસારી (રહે.તુલસીવાડી, અશોકનગર, કારેલીબાગ) સારવાર માટે આવ્યો હતો.દર્દીની સાથે તેના સગા સંબંધીઓ પણ હતા.દર્દીની સારવાર ચાલતી હતી.તે સમયે બીજા છોકરાઓ પણ બાઇક લઇને સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા.અને તેઓએ ઇજાગ્રસ્ત દર્દી સાથે મારામારી કરવા લાગ્યા હતા.અને જોઇ લેવાની ધમકી આપતા હતા.મારામારીના કારણે ઇમરજન્સી વોર્ડમાં આવેલી એમ.એલ.ઓ.ની ઓફિસની બાજુમાં લિફ્ટની પાસેના દરવાજાનો કાચ તૂટી ગયો હતો.સિક્યુરિટીના જવાનોએ મારામારી કરનાર હુમલાખોરોને પકડી લીધા હતા.તેમનું નામ પૂછતા (૧) મોહંમદકામીલ અબ્દુલ કલામ શેખ (૨) આફતાબ મહંમદ ઉવેશ શેખ (૩) સલાઉદ્દીન અબ્દુલહમીદ અનસારી અને (૪) જમાલુદ્દીન અબ્દુલહમીદ અનસારી (તમામ રહે.અશોકનગર,તુલસીવાડી) હોવાનું જાણવા મળ્યું હતું.તમામ આરોપીઓને પકડીને રાવપુરા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.રાવપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




