Get The App

ઠાસરાના ઢુણાદરામાં જુથ અથડામણ બાદ સઘન પોલીસ બંદોબસ્ત

- સામસામે ફરિયાદ બાદ પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી

Updated: Jan 17th, 2019

GS TEAM

Google News
Google News

નડિયાદ,તા. 16 જાન્યુઆરી 2019, બુધવાર

ઠાસરાના ઢુણાદરા ગામે વાસી ઉત્તરાયણના દિને કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ હતી. ગામમાં પતંગ ચઢાવતા સમયે ધાર્મિક ગીત વગાડવા મુદ્દે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરાવી છે.

ઘટનામાં એક પક્ષમાંથી ઝાકીરમિયાં શેખ દ્વારા ફરિયાદ દાખલ કરાવાઈ છે. જેમાં ૨૮ લોકોને આરોપી દર્શાવી તેમાં કુલ પચ્ચાસ લોકોના ટોળાનો ઉલ્લેખ કરાયો છે. આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે ૧૫ તારીખે સાડા બાર વાગ્યે ઢુણાદરા ગામે સુરજી વગો ખાતે ભલાભાઈ પરમાર તેમના ઘર ઉપર પતંગ ચઢાવતા સમયે ફરિયાદીની પત્ની અને બાળકોને જોઈ ચીચીયારીઓ પાડતા હતા. આ દરમ્યાન ફરિયાદીએ તેમને ઠપકો આપતા તમે શાંતિથી પતંગ ચઢાવો ખોટુ વર્તન કરશો નહીં તેમ કહેતા સામા પક્ષે એકસંપ થઈ ફરિયાદી અને તેમના સાહેદોને લાકડીથી હુમલો કર્યો હતો. દરમ્યાન ફરિયાદીના સાહેદને કપાળના ભાગે ઈજાઓ પણ પહોંચાડી હતી. આ હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત થતા બંનેને પ્રાથમિક સારવાર માટે નડિયાદ સિવિલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. આ બાદ બંને ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ ખાતે ખસેડાયા હતા. આ દરમ્યાન આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યુ છે.

આ જ ઘટનામાં સામાપક્ષે ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં ફરિયાદી કાંતિભઆઈ ઉર્ફે ભલાભાઈ પરમારે પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે આરોપી ઝાકીરશા ગનીમિયાં દ્વારા ફરિયાદીના સાહેદો જ્યારે વાસી ઉત્તરાયણ નિમિત્તે પોતાના ધાબા પર ગીત વગાડી પતંગ ચઢાવી રહ્યાં હતા, આ દરમ્યાન ગીત કેમ વગાડો છો તેમ કહી ફરિયાદીના સાહેદ લાલજીભાઈને આંખની નીચે છુટ્ટો પથ્થર મારી ઈજા પહોંચાડી હતી. આ દરમ્યાન ફરિયાદીએ આરોપીને ઠપકો આપતા આરોપીના હાથમાં રહેલ ઈંટનો ટુકડો ફરિયાદીને છુટ્ટો મારતા છાતીના ભાગે ફેક્ચર થયુ હતુ. 

આ દરમ્યાન ફરિયાદમાં દર્શાવેલા અન્ય આરોપીઓએ પણ ફરિયાદી અને તેમના સાહેદોના ઘર ઉપર પથ્થરમારો કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ મુદ્દે ફરિયાદ દાખલ થતાં પોલીસે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઉપરાંત જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રએ પણ ગામની મુલાકાત લઈ પરિસ્થિતિ જાણી હતી. આજે પોલીસ બંદોબસ્તના કારણે ગામમાં શાંતિનો માહોલ રહ્યો હતો.

ઠાસરાના ઢુણાદરામાં બે વાસી ઉત્તરાયણ નિમિત્તે બનેલી પથ્થરમારાની ઘટનાના સમગ્ર જિલ્લામાં પડઘા પડયા છે. આ મુદ્દે જિલ્લાના હિન્દુ અને મુસ્લિમ આગેવાનોએ શાંતિની અપીલ કરી છે. નડિયાદ સંતરામ મંદિર, ડાકોર રણછોડરાય મંદિર, ગળતેશ્વર મહાદેવ મંદિર, હિન્દુ ધર્મના સંતો-મહંતો અને મુસ્લિમ સમાજના મૌલવીઓએ ઢુણાદરા ગામના ગ્રામજનોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. આ ઉપરાંત જિલ્લા પોલીસવડાએ સમગ્ર ઘટનામાં આજે ઢુણાદરા ગામની મુલાકાત લીધી હતી.

 જ્યાં સ્થિતિની જાણકારી મેળવી હતી. તેમજ અખબારી યાદી મારફતે કાયદો અને વ્યવસ્થા જળવાય ઉપરાંત ઢુણાદરા ગામે ફરીથી એકતા જળવાય અને શાંતિ સ્થપાય તે માટે જાહેર અપીલ કરી છે.

ઢુણાદરામાં પથ્થરમારાની ઘટનામાં કલેક્ટરને આવેદનપત્ર

ઢુણાદરા ગામમાં વાસી ઉત્તરાયણે થયેલી મારામારીના સંદર્ભે હિન્દુ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ છે. જેમાં જણાવ્યુ છે કે છેલ્લા કેટલાય સમયથી મુસ્લિમો દ્વારા હિન્દુઓને રંજાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ઢુણાદરા ગામમાં મુસ્લિમો દ્વારા આયોજન કરી હિન્દુ વિસ્તારમાં ઘુસીને પથ્થરમારો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડવામાં આવી છે. આ આવેદનપત્રમાં ડાકોર પોલીસ સામે પણ ગંભીર સવાલો ઉભા કરવામાં આવ્યા છે. આવેદનપત્રમાં ડાકોર પોલીસ વિરુધ્ધ જણાવ્યુ છે કે હિન્દુઓને બધી જ રીતે પતાવી દેવાનું કાવતરુ રચવામાં આવ્યુ હોવા છતાં ડાકોર પોલીસ હિન્દુઓને પકડવામાં વ્યસ્ત છે. 

આ ઘટનામાં મુસ્લિમોને ઉભા કરી સ્ત્રીઓના ચેનચાળા કરવાનો ખોટો કેસ ઉભો કરાયાનો પણ આક્ષેપ કરાયો છે. આવેદનપત્ર મારફતે માંગ કરાઈ છે કે હિન્દુઓ સામેના ખોટા કેસ પાછા ખેંચવામાં આવે અને ભાગેડુ મુસ્લિમોને છાવરવાની જગ્યા તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે