Gujarat

જામફળ, શેતૂર અને દાડમ જેવા વૃક્ષોથી ચકલીઓ આકર્ષાય છે

By GS Team
20 Mar 20221 min read
This article was originally published on 20 Mar 2022
જામફળ, શેતૂર અને દાડમ જેવા વૃક્ષોથી ચકલીઓ આકર્ષાય છે

વડોદરાઃ આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરના કમાટીબાગ સહિતના વિવિધ સ્થળોએ ચકલીઓ માટેના માળા તેમજ પાણી માટે માટીના કુંડાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

શહેરના કમાટીબાગ ખાતે ઝૂ સત્તાધીશો તેમજ એમ.એસ.યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર તથા છેલ્લા કેટલાક વર્ષોથી પક્ષીઓ પર અભ્યાસ કરી રહેલા અલી અસગલ વોહરાના સહયોગથી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શહેરીજનોને ૨૦૦ જેટલા ચકલીના માળાનુ વિતરણ કરાયુ હતુ અને સાથે સાથે શહેરીજનોને ચકલીઓને લઈને રસપ્રદ ટિપ્સ પણ આપવામાં આવી હતી.

શહેરીજનોને ચકલીઓ અંગે જાણકારી મળી રહે તે માટે વિતરણ સ્થળ પર પોસ્ટરો પણ મુકવામાં આવ્યા હતા.ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરનુ કહેવુ હતુ કે, ચકલીઓને આકર્ષવી હોય તો શેતૂર, જામફળ, દાડમ અથવા બોગનવેલના પ્લાન્ટસ લગાડવા જોઈેએ.આ પ્લાન્ટસ તરફ ચકલીઓ આકર્ષાતી હોય છે.સાથે સાથે ચકલીઓને ખોરાક તરીકે કણકી બાજરી આપવા જોઈએ.ઘણા લોકો સેવ મમરા કે ગાંઠીયા જેવી વસ્તુઓ આપે છે તે યોગ્ય નથી.

તેમનુ કહેવુ હતુ કે, આર્ટિફિશિયલ માળો સાત કે આઠ ફૂટની ઉંચાઈએ મુકવો જોઈએ.માળો પૂર્વ કે પશ્ચિમ દિશામાં ના હોવો જોઈએ.જો બગીચામાં ચકલીઓ આવતી હોય તો ત્યાં જંતુનાશક દવા છાંટવી જોઈએ નહીં. ગરમીમાં પાણીનુ કુંડુ મુકવાની અને તેની રોજ સફાઈ પણ રોજ કરવાની જરુર હોય છે.