Gujarat

દેવુ ભલે વધે પણ કોન્ટ્રાકટરોને સાચવો એ.એમ.ટી.એસ.ની બંધ ૯૨૭ બસના આયોજનને બદલે ૩૦ કરોડના ખર્ચે નવી બસ ખરીદાશે

By GS Team
22 Mar 20222 mins read
This article was originally published on 22 Mar 2022
દેવુ ભલે વધે પણ કોન્ટ્રાકટરોને સાચવો એ.એમ.ટી.એસ.ની બંધ ૯૨૭ બસના આયોજનને બદલે ૩૦ કરોડના ખર્ચે નવી બસ ખરીદાશે

અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022

૩૫૦૦ કરોડના દેવાના આર્થિક બોજ હેઠળ ચલાવાઈ રહેલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ૧૫ વર્ષ જુની બંધ કરવામાં આવેલી ૪૬૬ અને ભંગારમાં નાંખવામાં આવેલી ૪૬૧ બસ મળીને ૯૨૭ બસમાંથી નવી બસ મેળવવા નકકર આયોજન કરવાના બદલે પંદરમાં નાણાં પંચમાંથી નવી ૧૧૮ જેટલી મીડી બસ ખરીદી મળતીયા કોન્ટ્રાકટરને ચલાવવા આપવાની કવાયત શરુ કરવામાં આવી છે.એ.એમ.ટી.એસ.શહેરીજનો માટે નહીં પણ કોન્ટ્રાકટરો માટે ચલાવવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે.

સ્થાપનાના ૭૫મા વર્ષમાં પ્રવેશેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની હાલત સતત કથળી રહી છે.રેવન્યુ લોસમાં ઘટાડો કરવાના બદલે રેવન્યુ લોસ વધે એ પ્રકારના નિર્ણય સત્તાધીશો દ્વારા લેવામાં આવી રહ્યા છે.વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે માંગેલી માહિતીમાં તંત્રે જણાવ્યા મુજબ,૧૫માં નાણાંપંચની મળેલી ૩૦ કરોડની ગ્રાન્ટની રકમમાંથી નવી ૧૧૮ મીડી સી.એન.જી.બસ ખરીદવા કાર્યવાહી શરુ કરવામાં આવી છે.જયારે તંત્ર પાસે હાલમાં ૧૫ વર્ષ જુની એવી ૪૬૬ અને સ્ક્રેપ માટે નાંખવામાં આવેલી ૪૬૧ બસ મળી કુલ ૯૨૭ બસ અંગે શું આયોજન કરવામાં આવ્યુ છે એ અંગે સત્તાવાળાઓએ કોઈ જવાબ આપ્યો નથી.જયારે આટલી મોટી સંખ્યામાં એએમટીએસ પાસે બસ પડી હોય ત્યારે શા માટે આ બસ જે કંપનીની હોય એ કંપની સાથે વાતચીત કરી આ બસ તેમને પરત આપી નવી જેટલી પણ બસ આવે એ બસ એએમટીએસ કયા કારણથી પોતે ચલાવવા માંગતી નથી એવો સવાલ પણ વિપક્ષનેતાએ કર્યો છે.

વર્ષ-૨૦૧૭માં  સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ૭૫ અને એએમટીએસ ફંડમાંથી ૮ મીડી ડીઝલ બસ ખરીદવામાં આવી હતી.હાલમાં એએમટીએસમાં સાત જેટલા ખાનગી ઓપરેટરોની બસ ઓનરોડ ચાલી રહી છે.ડીઝલ આધારીત કુલ ૩૨૩ અને સીએનજી આધારીત કુલ ૩૨૫ બસ ઓનરોડ હોવાનો તંત્રે દાવો કર્યો છે.ખાનગી ઓપરેટર કે એએમટીએસની એકપણ ઈલેકટ્રીક બસ ઓનરોડ નથી.છેલ્લા ત્રણ વર્ષમાં ડીસેમ્બર-૨૦૨૧ સુધીમાં પ્રાઈવેટ ઓપરેટરો સંચાલિત ડીઝલ અને સીએનજી બસ મળીને કુલ આવક ૩૪૭.૭૮ કરોડ જેટલી થવા પામી છે.જે સામે એએમટીએસને ૯૦૬.૨૮ કરોડથી વધુની રકમનો રેવન્યુ લોસ થવા પામ્યો છે.