અમદાવાદમાં કોરોનાના નવા ૬૧૮ કેસ,ત્રણ સંક્રમિત દર્દીના નિપજેલા મોત

અમદાવાદ,શુક્રવાર,11 ફેબ્રુ,2022
અમદાવાદ શહેરમાં શુક્રવારે કોરોનાના દૈનિક કેસમાં ૮૨ કેસનો
ઘટાડો થતા નવા ૬૧૮ કેસ નોંધાયા હતા.ત્રણ સંક્રમિત દર્દીનાં મોત થવાની સાથે ૧૯૯૯
દર્દી કોરોનામુકત થયા હતા.પશ્ચિમ ઝોનના એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં
મુકવામાં આવ્યુ હતું.
૧૦ ફેબુ્રઆરીએ શહેરમાં કોરોનાના ૭૦૦ કેસ નોંધાયા હતા.૧૧
ફેબુ્આરીએ ૬૧૮ કેસ નોંધાતા કેસ ઘટવાની પ્રક્રીયા યથાવત રહી હતી.મ્યુનિ.તંત્ર
દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા ચાર માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળમાંથી બે સ્થળને
નિયંત્રણમુકત કર્યા હતા.પશ્ચિમ ઝોનમાં સામવેદ હોસ્પિટલ સામે આવેલા ઉત્સવ
એપાર્ટમેન્ટના ત્રણ મકાનના ચાર લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં શુક્રવારે
મ્યુનિ.દ્વારા મુકવામાં આવતા હાલમાં ત્રણ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ
છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સંખ્યા ઘટીને ૪૯ થવા પામી છે.
શુક્રવારે મ્યુનિ.દ્વારા શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી
૨૪૧૪ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ,
૧૧૫૫૨ લોકોને રસીનો બીજો ડોઝ તથા ૨૯૨૬ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવતા કુલ
૧૬૮૯૨ લોકોને રસી અપાઈ હતી.૧૫ થી ૧૮ વયના ૬૪૮ બાળકોને રસીનો પહેલો ડોઝ અને ૫૩૨૨
બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.માર્ચ-૨૦૨૦થી અત્યાર સુધીમાં શહેરમાં
કોરોનાના ૩,૭૪,૧૯૨ કેસ નોંધાયા
છે.૩,૬૨,૧૬૫ લોકો
કોરોનામુકત થયા છે.૩૫૮૧ લોકોના કોરોનાથી મોત થયા છે.




