Gujarat

એરપોર્ટ- આર.ટી.ઓને સાંકળતા બસરુટમાં મુસાફરોની સંખ્યા-આવકમાં વધારો

By GS Team
20 Nov 20212 mins read
This article was originally published on 20 Nov 2021
એરપોર્ટ- આર.ટી.ઓને સાંકળતા બસરુટમાં મુસાફરોની સંખ્યા-આવકમાં વધારો

        અમદાવાદ,શુક્રવાર,19 નવેમ્બર,2021

અમદાવાદ મ્યુનિ.તંત્ર હસ્તકના જનમાર્ગ દ્વારા એક મહિના અગાઉ ફરી શરુ કરવામાં આવેલા બી.આર.ટી.એસ.ના એરપોર્ટ-આર.ટી.ઓ.ને સાંકળતા બસરૃટમાં મુસાફરોની સંખ્યા અને તંત્રની આવક બંનેમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.આ પાછળનું એક કારણ રીક્ષાનું વધુ ભાડુ આપવાનુ ટાળી શહેરીજનો એરપોર્ટ આસપાસના વિસ્તાર સુધી પહોંચવા પચાસ રુપિયાના ભાડામાં એ.સી.બસમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોવાનુ પણ જાણવા મળ્યુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ વર્ષ અગાઉ જે રુટ થોડા સમયમાં મુસાફરો ના મળવાના કારણે બંધ કરવાની ફરજ પડી હતી.તે એરપોર્ટ- આર.ટી.ઓ.ને સાંકળતો બસ રુટ હાલની પરિસ્થિતિમાં ફળવા પામ્યો છે.

૧૮ ઓકટોબરે શહેરના મેયરે આ રુટ શરુ કરાવ્યો હતો.૬ નવેમ્બરથી ૧૬ નવેમ્બર સુધીના દસ દિવસમાં આ બસ રૃટમાં સરેરાશ ૩૫૦ થી લઈને ૭૫૦ સુધીના મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો.આવક પણ સરેરાશ ૧૫ હજારથી લઈ ૩૭ હજાર ઉપરાંત થવા પામી હતી.ભલે કોઈ ફલાઈટ પકડવાની ના હોય ,કોઈને એરપોર્ટ ઉપર મુકવા કે લેવા જવાનું ના હોય પણ એરપોર્ટ આસપાસના વિસ્તાર સુધી પચાસ રુપિયા રોકડા,ડીજીટલ પેમેન્ટ કે જનમિત્ર કાર્ડની મદદથી પહોંચી શકાય છે.ઉપરાંત સવારના ૬ થી રાતના ૧૧ સુધી આ બસ મળતી હોવાથી દુરના વિસ્તારમાં રહેતા લોકો હવે રીક્ષા ચાલકો દ્વારા વસુલવામાં આવતા પ્રતિ વ્યકિત મોંઘા ભાડા આપવાના બદલે આ બસમાં મુસાફરી કરવા લાગ્યા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.બી.આર.ટી.એસ.તરફથી શરૃ કરવામાં આવેલી ઈલેકટ્રીક બસ ઈસ્કોન ક્રોસરોડ, રામદેવનગર,ઈસરો,સ્ટાર બજાર,જોધપુર ચાર રસ્તા,અંધજન મંડળ,યુનિવર્સિટી,મેમનગર, સોલા ક્રોસરોડ, અખબારનગર, રાણીપ ક્રોસ રોડ, આર.ટી.ઓ.થઈ ડોમેસ્ટીક એરપોર્ટ સુધી  દોડાવવામાં આવે છે.