Gujarat

અમદાવાદ જિલ્લામાંથી સોમવારે કોરોનાના વધુ 80 કેસ મળ્યા

By GS Team
24 Jan 20222 mins read
This article was originally published on 24 Jan 2022
અમદાવાદ જિલ્લામાંથી સોમવારે કોરોનાના વધુ 80 કેસ મળ્યા

અમદાવાદ,તા.24 જાન્યુઆરી 2022,સોમવાર

અમદાવાદ જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ ૮૦ કેસ મળી આવ્યા હતા. સૌથી વધુ સાણંદમાંથી ૩૬ કેસ મળ્યા હતા. દસક્રોઇમાંથી ૧૩, બાવળામાંથી ૩, દેત્રોજ, માંડલમાંથી ૧-૧, ધંધૂકામાંથી ૪, વિરમગામમાથી ૬ અને ધોળકામાંથી ૧૬ કેસ કોરોના પોઝિટીવ મળ્યા હતા. જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા ૫૯૬ થઇ ગઇ છે. 

અમદાવાદ જિલ્લામાં રોજના ૩ હજારથી વધુ ટેસ્ટિંગ થઇ રહ્યા છે. ત્રીજી લહેરમાં જિલ્લામાં એક દિવસમાં સૌથી વધુ ૧૭૭ કેસ મળી આવ્યા છે. હવે ધીમેધીમે કેસની સંખ્યા ઓછી થઇ રહી હોવાનું જિલ્લાના અધિકારીઓ જણાવી રહ્યા છે. જિલ્લામાં હાલમાં ૩ હજાર ટેસ્ટિંગની સામે ૮૦ જેટલા કેસ મળે છે.

જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા ૧૮ વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફેરવી દેવાયા છે. હાલમાં કોરોના પોઝિટિવ લોકોને હોમ કર્વારન્ટાઇનમાં રખાઇ રહ્યા છે. તમામની આરોગ્યલક્ષી સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ હોમ આઇસોલેશનમાં છે તેઓના આરોગ્યની નિયમિત પણે ચકાસણી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઇને તે દર્દીઓના આરોગ્ય અને સુધારાલક્ષી વલણો પર ધ્યાન આપી રહ્યા છે. 

જિલ્લામાં કોરોના રસીકરણનીકામગીરી ૧૦૪ ટકા પૂર્ણ થઇ છે. જેમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોના રસીકરણમાં ૧,૦૫,૫૬૮ના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં ૮૬,૪૨૪ બાળકોને રસી મુકી દેવાઇ છે. એટલેકે બાળ રસીકરણની કામગીરી ૮૨ ટકા પૂર્ણ થઇ છે. રીસનો ત્રીજો ડોઝ એટલેકે  પ્રિકોશન ડોઝ આપવાની પણ કામગીરી ચાલી રહી છે. જેમાં ૧૯,૬૩૬ના ટાર્ગેટ સામે ૧૫,૨૧૨ લોકોને પ્રિકોશન ડોઝ આપી દેવાયો છે. આ કામગીરી ૮૦ ટકા પૂર્ણ કરાઇ છે.