Gujarat

ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ૭૦%, મૃત્યુમાં ૬૦%નો ઘટાડો

By GS Team
12 Feb 20222 mins read
This article was originally published on 12 Feb 2022
ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ૭૦%, મૃત્યુમાં ૬૦%નો ઘટાડો

અમદાવાદ, શુક્રવાર

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની સમાપ્તિ થઇ ગઇ હોવાના રાહતજનક સંકેત મળી રહ્યા છે. કોરોનાના કેસની સાથે હવે કોરોનાથી મૃત્યુમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮૮૩ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૧૪ વ્યક્તિના મૃત્યુ થયા છે. ૪ ફેબુ્રઆરી એટલે કે બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં દૈનિક કેસ ૬૦૯૭ અને મૃત્યુ ૩૫ નોંધાયા હતા. આમ, એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ૭૦%નો જ્યારે મૃત્યુમાં ૬૦%નો ઘટાડો નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૬૧૮-ગ્રામ્યમાં ૧૫ સાથે ૬૩૩ નવા કેસ સામે આવ્યા હતા. અમદાવાદ ઉપરાંત વડોદરા,  સુરત, ગાંધીનગર જ એવા જિલ્લા છે જ્યાં કોરોનાના ૧૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. જેમાં વડોદરા શહેરમાં ૨૮૨-ગ્રામ્યમાં ૯૬ સાથે ૩૭૮, સુરત ગ્રામ્યમાં ૭૩-શહેરમાં ૪૭ સાથે ૧૨૦ કેસ, ગાંધીનગર શહેરમાં ૭૫-ગ્રામ્યમાં ૨૯ સાથે ૧૦૪ નો સમાવેશ થાય છે. રાજ્યમાંથી અન્યત્ર મહેસાણામાં ૯૫, રાજકોટ શહેરમાં ૪૭-ગ્રામ્યમાં ૩૧ સાથે ૭૮, આણંદમાં ૫૫, બનાસકાંઠામાં ૪૩, ખેડામાં ૪૦, કચ્છમાં ૩૯, પંચમહાલમાં ૩૧, પાટણ-સાબરકાંઠામાં ૨૭, નવસારીમાં ૨૫, ડાંગ-તાપીમાં ૨૦, ભાવનગર શહેરમાં ૧૭-ગ્રામ્યમાં ૩ સાથે ૨૦, ભરૃચમાં ૧૮, દાહોદમાં ૧૬,મોરબીમાં ૧૪, અમરેલીમાં ૧૩, સુરેન્દ્રનગરમાં ૧૨, વલસાડમાં ૯, જુનાગઢ શહેરમાં ૬-ગ્રામ્યમાં ૩ સાથે ૯, છોટા ઉદેપુર-ગીર સોમનાથમાં ૭,  પોરબંદરમાં ૫, જામનગર શહેરમાં ૩-ગ્રામ્યમાં ૧ સાથે ૪, અરવલ્લી-મહીસાગર-નર્મદામાં ૪, દેવભૂમિ દ્વારકામાં બે નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ બોટાદ જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાંથી ૪, અમદાવાદમાંથી ૩, દાહોદમાંથી ૨, સુરત-રાજકોટ-ભરૃચ-સુરેન્દ્રનગર-જામનગરમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૧૨,૧૨,૩૭૦ જ્યારે કોરોનાથી કુલ મૃત્યુ ૧૦,૭૭૫ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૦૦૫ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧૧,૮૩,૨૯૪ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૭.૬૦% છે.

રાજ્યમાં ૮ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૨૦ હજારથી નીચે નોંધાયો છે. હાલમાં ૧૮૩૦૧ એક્ટિવ કેસ છે જ્યારે ૧૦૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

 

છેલ્લા એક સપ્તાહમાં કોરોનાની બદલાયેલી સ્થિતિ

કેસ            ૪ ફેબુ્રઆરી   ૧૧ ફેબુ્રઆરી

નવા           ૬,૦૯૭         ૧,૮૮૩

મૃત્યુ              ૩૫             ૧૪

રીક્વરી રેટ    ૯૪.૨૮%       ૯૭.૬૦%

એક્ટિવ કેસ    ૫૭,૫૨૧       ૧૮,૩૦૧

 

ખાનગી હોસ્પિટલોમાં ૧ મહિના બાદ કોરોનાના ૧૦૦થી ઓછા દર્દી

કોરોનાના કેસની સાથે હવે હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેનારા દર્દીઓનો આંક ૧ મહિના બાદ ૧૦૦થી નીચે નોંધાયો છે. હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલોના કુલ ૩૪૧૧ બેડમાં ૯૪ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ૫૩ દર્દીઓ આઇસોલેશનમાં, ૩૦ દર્દીઓ એચડીયુમાં, ૯ દર્દીઓ આઇસીયુમાં અને ૭ દર્દીઓ વેન્ટિલેટર હેઠળ છે.