ખેડા: ઠાસરા તાલુકામાં મહી કેનાલ પરનો બ્રિજ ધરાશાયી, ચિતલાવ અને સરદારપુરા ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bridge Collapse In Kheda: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આજે (16મી ઓગસ્ટ) એક બ્રિજ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બે ગામોને જોડતો મુખ્ય બ્રિજ ધડાકાભેર તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટના સમયે બ્રિજ પર કોઈ વાહન કે રાહદારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
મહી કેનાલની કાંસ પર આવેલો બ્રિજ તૂટ્યો
મળતી માહિતી અનુસાર, ઠાસરા તાલુકાના ચિતલાવથી સરદારપુરા ગામને જોડતો મુખ્ય બ્રિજ રવિવારે સવારે અચાનક ધરાશાયી થયો હતો. મહી કેનાલની ડ્રેનેજ લાઇન પરનો બ્રિજ અચાનક મોટા ધડાકા સાથે ખાબક્યો હતો. બ્રિજ ધરાશાયી થવાને કારણે ચિતલાવ અને સરદારપુરા ગામ વચ્ચેનો સીધો વાહનવ્યવહાર અને સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે.
બ્રિજ તૂટી જતાં બંને ગામના ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે અવરજવર કરવાનો માર્ગ બંધ થઈ ગયો છે. જોકે, ઘટના બની તે સમયે બ્રિજ પરથી કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું, જેથી એક મોટી હોનારત અટકી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતાં તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવા તેમજ નવા બ્રિજ અંગેની જરૂરી કામગીરી હાથ ધરવા માગ ઉઠી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજ નીચે આવેલા પિલ્લરની આજુબાજુ મોટા પાયે પાણીના કારણે ધોવાણ થયું હોવાનું જણાઈ રહ્યું છે. આ ધોવાણના કારણે પિલ્લર નબળા પડ્યા અને બ્રિજ પોતાના વજનની સમતુલા ન જાળવી શકતા આ દુર્ઘટના ઘટી.









