જૂનાગઢ: દાતાર પર્વત પર અને વિલિંગ્ડન ડેમ જતાં પહેલાં લેવી પડશે મંજૂરી, આ તારીખો દરમિયાન જવાના હો તો ધ્યાન રાખજો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh News: જૂનાગઢમાં આગામી દિવસોમાં આયોજિત પ્રસિદ્ધ દાદા દાતારના ઉર્સ પર્વને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ઉર્સ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જૂનાગઢના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિકુંજ ધુડા દ્વારા દાતાર પર્વત, વિલિંગ્ડન ડેમ તેમજ આસપાસના સુરક્ષિત વિસ્તારોમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાની મુદત અને નિયમો
•આ જાહેરનામું 22મી ઓગસ્ટની મધ્યરાત્રિએ 12:00 વાગ્યાથી અમલી બનીને 27મી ઓગસ્ટ રાત્રિના 12:00 વાગ્યા સુધી લાગુ રહેશે.
•પ્રતિબંધિત વિસ્તાર: દાતાર પર્વત, વિલિંગ્ડન ડેમ અને અન્ય સુરક્ષિત વિસ્તારો.
•મંજૂરી ફરજિયાત: આ પાંચ દિવસ દરમિયાન જો કોઈ વ્યક્તિ કે શ્રદ્ધાળુએ દાતાર પર્વત કે વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં જવું હોય, તો તેમણે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.
•કાનૂની જોગવાઈ: સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 163 હેઠળ આ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે.
ધાર્મિક આસ્થાનું કેન્દ્ર અને કાયદો-વ્યવસ્થા
ઉપલા અને નીચલા દાતાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 23મી ઓગસ્ટ (રવિવાર)થી 27મી ઓગસ્ટ (ગુરુવાર) દરમિયાન ઉર્સ ઉત્સવની ભવ્ય ઉજવણી થશે. આ દિવસોમાં હજારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ અને દાતાર બાપુના સેવકો દર્શનાર્થે આવતા હોય છે. ઉર્સ દરમિયાન ઉપલા દાતારે ચંદન વિધિ અને મહેંદી રસમ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જ્યારે નીચલા દાતાર દરગાહ પરિસરમાં મેળા અને મનોરંજનનું આયોજન થાય છે. ભક્તોની ભારે ભીડને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા આ પગલું ભરવામાં આવ્યું છે.









