જામનગરના વિક્ટોરિયા પુલ પાસે ગણપતિ મંડપ બાંધવાના કામ દરમિયાન યુવાન પર લોખંડના પાઈપથી હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરના વિક્ટોરિયા પુલ પાસે ગણપતિજીના મંડપ બાંધવાના કામ દરમિયાન યુવાન સાથે બોલાચાલી બાદ ચાર-પાંચ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
રાકાપાર્ક સ્કાયલાઇન એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા સાગર દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.28) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, તા.13ના રાત્રિના સમયે તેઓ સુભાષ બ્રિઝ પાસે બજરંગ પાનની દુકાન ખાતે ગણપતિ મંડપ બાંધવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન નિમીષ ઉર્ફે કારાજી, રઈશ ઉર્ફે સલીમ ગાંડીનો છોકરો તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો લોખંડના પાઈપ લઈને ત્યાં આવ્યા હતા.
આ શખ્સોએ ગાળો આપી સાગરભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને રઈશે લોખંડના પાઈપ વડે તેમના જમણા હાથ પર ઘા કર્યો હતો. ત્યારબાદ સાગરભાઈ બજરંગ પાનની દુકાનમાં જતા રહેતાં આરોપીઓએ દુકાનમાં ઘૂસી ફરીથી તેમના જમણા હાથ તથા પગમાં લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં હાથ અને પગમાં ગંભીર ઈજા તથા ફેક્ચર જેવી ઇજા થતાં ઓપરેશન કરવાની સ્થિતિ સર્જાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સાગરભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્રને પણ એક આરોપીએ લોખંડના પાઈપ વડે ડાબા હાથમાં માર મારતાં ઈજા થઈ હતી. સમગ્ર મામલે સીટી-બી ડિવિઝન પોલીસે નિમીષ ઉર્ફે કારાજી, રઈશ ઉર્ફે સલીમ તથા અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




