Gujarat

જામનગર તાલુકાના મસીતીયા ગામમાં ધુળેટીના દિવસે કમરૂદ્દીન સરકારનો ઉર્ષનો કાર્યક્રમ યોજાયો

By GS Team
19 Mar 20222 mins read
This article was originally published on 19 Mar 2022
જામનગર તાલુકાના મસીતીયા ગામમાં ધુળેટીના દિવસે કમરૂદ્દીન સરકારનો ઉર્ષનો કાર્યક્રમ યોજાયો

- નાના-મોટા ઘોડાની ત્રણ રેસ માં ૩૦થી વધુ ઘોડા જોડાયા: જેમાં છ ઘોડાને વિજેતા જાહેર કરાયા

જામનગર, તા. 19

જામનગર તાલુકાના મસીતીયા ગામમાં છેલ્લા એકસોથી વધુ વર્ષથી કમરૂદ્દીન સરકારના ઉર્ષની ઉજવણી કરાય છે, જેમાં કવાલી નો કાર્યક્રમ, નિયાજ, સંદલ, તેમજ ઘોડારેસ યોજવામાં આવે છે. જેની આ વખતે પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગઈકાલે રાત્રે ઉર્ષ નિમિત્તે કવાલીનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યાર પછી નિયાઝનો કાર્યક્રમ થયો હતો. જ્યારે સંદલ પણ નીકળ્યું હતું. ત્યાર પછી બપોરે ચાર વાગ્યે ઘોડારેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના મોટા જુદી-જુદી ત્રણ કેટેગરીમાં ૩૦ જેટલા ઘોડા જોડાયા હતા. જેમાં મસીતિયા ઉપરાંત જામનગર શહેર અને આસપાસના વિસ્તારના તેમજ ઓખામંડળ સહિતના ઘોડા રેસ માટે આવ્યા હતા.


જેમાં વચલા નાના ઘોડાની રેસમાં મસીતીયા ગામના આદમભાઈ જુસબભાઈ નો ૩૩૩૩ નંબર નો ઘોડો પ્રથમ સ્થાને વિજેતા થયો હતો. જે સમગ્ર ઘોડા રેસનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેનું ભવ્ય સન્માન કરાયું હતું. જ્યારે જામનગરના જુમાભાઈની ઘોડી બીજા સ્થાને વિજેતા થઇ હતી. જે બન્ને ઘોડેસવારોને ઘોડારેસના આયોજકો દ્વારા અને સમગ્ર સમાજ દ્વારા પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વચલા ઘોડાની રેસમાં મસીતિયાના હાજીભાઇ નો 1616 નંબરનો ઘોડો પ્રથમ સ્થાને વિજેતા થયો હતો, જ્યારે મસીતીયાના ઈકબાલભાઈ જુસબભાઈ પીરાવાળાનો ઘોડો બીજા સ્થાને વિજેતા થયો હતો.

આ ઉપરાંત સૌથી મોટા ઘોડાની રેસમાં જામનગરના ઓસ્માણભાઈ ખફીનો 307 નંબરનો ઘોડો પ્રથમ સ્થાને જ્યારે ઓખાના ફકીરા શેઠનો 387 નંબરનો ઘોડો બીજા સ્થાને વિજેતા થયો હતો. જે તમામનું પાઘડી પહેરાવીને સન્માન કરાયું હતું.