જામનગરમાં LCBનો મોડી રાત્રે દરોડો : મકાનમાંથી 3 દેશી હથિયાર અને 7 જીવતા કારતૂસ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને સંગ્રહ સામે એલસીબીની ટીમે મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહાપ્રભુજીની બેઠક પાસે, સાલુપીરની દરગાહ પાછળ આવેલી ખોડીયાર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને મકાનમાંથી ત્રણ ગેરકાયદે હથિયારો તથા સાત જીવતા કારતૂસ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ, એલસીબીના પોલીસની ટીમને બાતમી મળી હતી કે પોરબંદરના યુનુસભાઈ ઈબ્રાહીમભાઈ મતવા કુરેશી નામનો શખ્સ જામનગરની ખોડીયાર સોસાયટીમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદે હથિયારો રાખે છે અને હાલ તે મકાનમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં મકાનમાં દરોડો પાડતાં યુનુસભાઈ ઈબ્રાહીમભાઈ મતવા કુરેશી (ઉંમર 49, મૂળ પોરબંદર, હાલ જામનગર) હાજર મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે મકાનના રૂમમાં લાકડાના કબાટમાં હથિયારો રાખ્યા હોવાનું જણાવતાં પોલીસે કબાટની તલાશી લીધી હતી. જેમાં કપડાં નીચેથી એક દેશી બનાવટની પિસ્ટલ, એક દેશી બનાવટની રિવોલ્વર, એક દેશી બનાવટનો તમંચો, પિસ્ટલનું ખાલી મેગેઝીન તથા સાત જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક ચકાસણીમાં પિસ્ટલ ચાલુ હાલતમાં હોવાનું જણાયું હતું. પિસ્ટલની અંદાજિત કિંમત રૂ.25 હજાર, રિવોલ્વરની કિંમત રૂ.25 હજાર અને તમંચાની કિંમત રૂ.10 હજાર ગણવામાં આવી છે. ઉપરાંત સાત જીવતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે. આ રીતે પોલીસે ગેરકાયદે હથિયારો અને કારતૂસનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી અંગે પોલીસે યુનુસભાઈ મતવા કુરેશીની ધરપકડ કરી છે. જ્યારે હથિયારોના કબજા અને આ મામલે સંડોવણી અંગે અન્ય બે શખ્સોની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે અને તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા, કોને આપવાના હતા અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ હથીયારના સપ્લાયર તરીકે પોરબંદરના જોખન યાદવ કે જે મૂળ બિહારનો વતની છે અને બિહારના શુશીલ કુમાર સાહૂને ફરારી જાહેર કરાયા છે જેઓની પોલીસ દ્વારા શોધખોટ ચલાવવામાં, આવી રહી છે.









