Jamnagar

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં એક બુઝુર્ગ ઉપર છરી, પાઇપ અને ધોકાથી જીવલેણ હુમલો

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં 66 વર્ષીય મહમદભાઈ ખફી પર 25 જુલાઈના રોજ બપોરે 3:30 વાગ્યે છરી, પાઇપ અને લાકડાના ધોકાથી જીવલેણ હુમલો થયો. સાહિદ ખીરા, વસીમ ખીરા અને અલ્ફાન ખીરાએ રસ્તો રોકી માથામાં ઇજા પહોંચાડી, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી. સીટી સી ડિવિઝન પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં એક બુઝુર્ગ ઉપર છરી, પાઇપ અને ધોકાથી જીવલેણ હુમલો

Jamnagar: જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં એક ૬૬ વર્ષીય વૃદ્ધ પર છરી, પાઇપ અને લાકડાના ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શંકર ટેકરી, નવી નિશાળ પાસે રહેતા મહમદભાઈ યુસુફભાઈ ખફી (ઉ.વ. 66) તા. 25 જુલાઈના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે પોતાના ઓલા મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન શંકર ટેકરી વિસ્તારમાં રહેતા સાહિદ ફિરોજભાઈ ખીરા, વસીમ સલીમ ખીરા અને અલ્ફાન ગફાર ખીરાએ તેમનો રસ્તો રોકી હુમલો કર્યો હતો.

ફરિયાદ મુજબ, સાહિદ ફિરોજભાઈ ખીરાએ છરી વડે મહમદભાઈના માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. વસીમ સલીમ ખીરાએ પાઇપ વડે શરીરે માર માર્યો હતો, જ્યારે અલ્ફાન ગફાર ખીરાએ લાકડાના ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત હથિયારબંધી અંગેના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસે સાહિદ ફિરોજભાઈ ખીરા, વસીમ સલીમ ખીરા અને અલ્ફાન ગફાર ખીરા સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115(2), 352, 351(3), 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.