Gujarat

જામનગર જિલ્લામાં કહેર મચાવતા કોરોનાએ તમામ રેકોર્ડ તોડયા: માત્ર 24 કલાકમાં જ જિલ્લાના રેકોર્ડ બ્રેક 693 પોઝિટિવ કેસ નોંધાતાં હાહાકાર

By GS Team
23 Jan 20223 mins read
This article was originally published on 23 Jan 2022
જામનગર જિલ્લામાં કહેર મચાવતા કોરોનાએ તમામ રેકોર્ડ તોડયા: માત્ર 24 કલાકમાં જ જિલ્લાના રેકોર્ડ બ્રેક 693 પોઝિટિવ કેસ નોંધાતાં હાહાકાર

- જામનગર શહેરમાં આજે કોરોના મામલે ભયાનક સ્થિતિ: કોરોનાનો આંકડો સવા પાંચસોને વટાવી ગયો: 526 કેસ નોંધાયા

- ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો: માત્ર 24 કલાકમાં 167 કેસ: જ્યારે 40 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા

- જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા વધુ એક દર્દીએ દમતોડયો: જી.જી.હોસ્પિટલમાં એકીસાથે 63 દર્દીઓ સારવાર હેઠળ

જામનગર તા. 23

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી દીધો છે અને આજે જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જેથી ભારે ગભરાટનો માહોલ સર્જાયો છે. જામનગર શહેર નો કોરોનાનો આંકડો સવા પાંચસોને પાર પહોંચી જતાં લોકોમાં ભારે ભય ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરના 526 કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ 167 સહિત કુલ જિલ્લાના 693 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસનો સૌથી ઊંચો આંકડો છે.

ઉપરાંત જામનગર શહેરના 128 અને ગ્રામ્ય વિસ્તારના 40 સહિત 168 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે. ઉપરાંત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કોરોનાગ્રસ્ત એક વયોવૃદ્ધ દર્દીએ દમ તોડી દીધો છે. અને હાલ સરકારી જી.જી.હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં કોરોનાના 63 દર્દીઓ સારવાર મેળવી રહ્યાછે. મ્યુકોર્માઇકોસિસના એક દર્દીને રજા આપવામાં આવી છે, અને હાલ ૩ દર્દી સારવાર હેઠળ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 6,૩૩,839 ટેસ્ટ કરાયા હતા અને આજે એક દિવસના 6,738 કોવિડ ટેસ્ટ કરાયા છે, તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં 2,178 મળી સમગ્ર જિલ્લામાં 8,914 કોવિડ પરીક્ષણ કરી લેવામાં આવ્યા છે.

જામનગરની સરકારી હોસ્પિટલમાં કોરોનાના નવા દર્દીઓ દાખલ થવાનો સિલસિલો અવિરત ચાલુ થઇ ગયો છે, અને આજની તારીખે જી.જી. હોસ્પિટલ માં કોરોનાની સારવાર માટે કુલ 63 દર્દીઓ દાખલ થયા છે. જેઓની જુદી-જુદી દવાઓ મારફતે સારવાર ચાલી રહી છે.

જ્યારે જામનગરના હાપા લાલવાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ નામના 70 વર્ષીય વૃદ્ધ કે જેઓને કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેઓનું આજે વહેલી સવારે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. જેની કોવિડ ની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરી લેવામાં આવી છે.

જામનગર જી.જી હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર મેળવી રહેલા મ્યુકોર્માઇકોસિસની બીમારીના એક દર્દીને આજે સવારે રજા આપવામાં આવી હોવાથી હાલ જી.જી.હોસ્પિટલમાં એક મહિલા દર્દી અને બે પુરુષ દર્દી સહિતના ત્રણ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

જામનગર શહેરમાં એક દિવસ ના નવા ૫૨૬ કેસ નોંધાયા હોવાથી મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ઊંધા માથે થયું છે, અને શહેરના અનેક વિસ્તારો માં કોરોનાને લગતી કામગીરી કરવી પડી રહી છે. અંદાજે ૩,૦૦૦ જેટલા કોરોના સંક્રમિતો ને અને તેમના નિકટવર્તિઓ ને હોમ આઇશોલેશનમાં મુકી દેવામાં આવ્યા છે. તેમજ અન્ય લોકોના કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. જોકે જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ગ્રસ્ત 128 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કર્યા છે.

આ ઉપરાંત જામનગર જિલ્લામાં પણ કોરોનાનુ સંક્રમણ દિનપ્રતિદિન વધતું જાય છે. જેમાં જામનગર તાલુકા માંથી સૌથી વધુ કેસ આવી રહ્યા છે. સાથોસાથ જામજોધપુર, કાલાવડ અને લાલપુરમાં પણ દિનપ્રતિદિન કોરોના કેસ નો વધારો થતો જાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર ગ્રામીણ વિસ્તારના -60, જામજોધપુર ના -14, લાલપુરના 49, કાલાવડના-11, જોડિયાના -20 જ્યારે ધ્રોળના -13 પોઝિટિવ કેસ સહિત કુલ 167 કેસ સામે આવ્યા છે. જે પણ એક દિવસના સૌથી વધુ કેસ છે. જેની સામે -40 દર્દીઓને કોરોના મુકતા જાહેર કરાયા છે.