Gujarat

જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાં નવી ગુજરી બજારનું નિર્માણ

By GS Team
5 Feb 20222 mins read
This article was originally published on 5 Feb 2022
જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાં નવી ગુજરી બજારનું નિર્માણ

- જાહેર માર્ગ પર ખડકી દેવાયેલી 10 રેકડીને મહાનગરપાલિકા દ્વારા કબજે કરી લેવાઈ

- પંચવટી વિસ્તારમાં ગુજરી બજાર નિર્માણ ન પામે તે માટે સ્થાનિકોની તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત

જામનગર તા. 05 

જામનગર શહેરના પંચવટી જેવા ધમધમતા વિસ્તારમાં આજે શનિવારે એકાએક ગુજરી બજારનું નિર્માણ થઇ ગયું હોવાનું ધ્યાનમાં આવતાં મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખા દોડતી થઇ છે, અને જાહેર માર્ગમાં અડચણ રૂપ 10 રેકડી કબજે કરી લીધી છે. જામનગરમાં બ્રુક બોન્ડ ગ્રાઉન્ડમાં શનિવારે ગુજરી બજાર ભરાતી હતી, પરંતુ ત્યાં નવી અદાલતનું નિર્માણ થઇ રહ્યું છ, ત્યારે ઉપરોક્ત જગ્યા સડક પિચરના નિર્માણ માટે અનામત રાખી દેવામાં આવી છે.અને ગેરકાયદે રીતે ભરાતી ગુજરી બજાર ને બંધ કરાવાઈ છે.

પરંતુ કેટલાક રેકડી પથારાવાળાઓ દર શનિવારે ગાંધીનગર તરફ જવાના માર્ગે જાહેરમાં બેસીને વેપાર-ધંધા ચલાવી રહ્યા છે, જેને દૂર કરવા માટે ની મહાનગરપાલિકા દ્વારા કવાયત ચલાવવામાં આવી રહી છે.


તેથી હવે રેકડી પથારાવાળાઓ પંચવટી વિસ્તારમાં ઊભા રહીને નવી બજારનું નિર્માણ કરી રહ્યા છે, અને જાહેર માર્ગ માં અડચણ ઉભી કરી રહ્યા છે, જેને લઇને જામનગર મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખાના અધિકારીઓ રાજભા ચાવડા અને સુનિલભાઈ ભાનુશાળી વગેરે પંચવટી વિસ્તારમાં પહોંચી ગયા હતા, અને જાહેર માર્ગ પર કટલેરી હોઝીયરી સહિતના માલસામાન સાથે દબાણ સર્જી રહેલા 10 રેંકડી ધારકોને ખસેડવાની કાર્યવાહી કરી હતી.

પરંતુ તેઓએ મહાનગરપાલિકાના તંત્ર સાથે રકઝક કરી હતી. આખરે તંત્ર દ્વારા 10 રેકડીઓ ને કબજે કરી લેવાઈ છે અન્ય કેટલાક પથારાવાળા અને રેંકડી ધારકોઓ પણ પંચવટીના જાહેર માર્ગ પર ગોઠવાઇ ગયેલા હતા. તેઓમાં નાસ ભાગ મચી ગઈ હતી અને આખરે પંચવટી જેવો અતી ધમધમતો અને પોશ ગણાતો વિસ્તાર મહાનગરપાલિકાએ ખુલ્લો કરાવ્યો છે.

પંચવટી વિસ્તારમાં રહેતા સ્થાનિક વેપારીઓ રહેવાસીઓ અને વેપારીઓ વગેરે દ્વારા ગુજરી બજારનું નિર્માણ ન થઈ જાય, તે માટેની પણ ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે.