જામનગર નજીક દરેડમાં પ્રેમસંબંધની શંકાએ 16 વર્ષના કિશોરની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં ચારેય આરોપી પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર તાલુકાના દરેડ ગામમાં પ્રેમસંબંધના મામલે 16 વર્ષના કિશોરની હત્યા થયાની ચકચારી ઘટના સામે આવ્યા બાદ પુત્રી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં તેના પિતાએ દિકરીના મોબાઇલ ફોનમાંથી મેસેજ કરીને કિશોરને ઘરે બોલાવ્યો હતો અને કિશોર ત્યાં પહોંચતા ચાર શખ્સોએ મળી તેને ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી 4 આરોપીને હસ્તગત કરી લીધા છે.
દરેડ ગામના બસ સ્ટેશન સામે રહેતા 16 વર્ષીય સાગર રમેશભાઈ ખરા અને પાડોશમાં રહેતા દિનેશ જેઠાભાઈ ગોહીલની પુત્રી વચ્ચે પ્રેમસંબંધ હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે. આ બાબતની જાણ તરુણીના પિતા દિનેશ ગોહીલને થતાં તેમણે સગીરાના મોબાઇલ ફોનમાંથી સાગરને મેસેજ કરી સવારે આશરે નવ વાગ્યાના અરસામાં પોતાના ઘરે બોલાવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
સાગર પ્રેમિકાના ઘરે પહોંચ્યા બાદ દિનેશ જેઠાભાઈ ગોહીલ, તેનો ભાઈ જગદીશ જેઠાભાઈ ગોહીલ, દિનેશનો મિત્ર રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ તથા અભી અગ્રાવતે મળી સાગરને પકડી ઘરના ઉપરના માળે લઈ ગયા હતા. જ્યાં ચારેય શખ્સોએ સાગરને ધોકા વડે માર માર્યો હોવાનો આક્ષેપ છે.
માર માર્યા બાદ સાગરને આરોપીઓએ ઘરની બહાર ઢસડી કાઢ્યો હતો અને રામકેશ ઉર્ફે પિન્ટુ તથા અભિએ તેને ટીંગાટોળી કરીને શેરીમાં ફેંકી દીધો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બનાવની જાણ થતાં સાગરના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને 108ની મદદથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે સાગરને મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે મૃતકના મોટા ભાઈ પીયુષ રમેશભાઈ ખરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દિનેશ જેઠાભાઈ ગોહીલ, જગદીશ જેઠાભાઈ ગોહીલ, રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ અને અભી અગ્રાવત સહિત ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, જી.પી. એક્ટની કલમ 135(1) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 3(2)(5) હેઠળ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી લઈ વધુ તપાસ હાથ ધરી છે.




