Gujarat

જામનગરના કાલાવડ નાકા બહાર એક મહિલા પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવાતાં ભારે ચકચાર

By GS Team
26 Feb 20222 mins read
This article was originally published on 26 Feb 2022
જામનગરના કાલાવડ નાકા બહાર એક મહિલા પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવાતાં ભારે ચકચાર

- કચરો ફેંકવા જઈ રહેલી મહિલા પર તેણીના જ બનેવીએ છરીના ઘા ઝિંકી દઈ ફરાર: પોલીસ દ્વારા શોધખોળ

જામનગર, 26

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી એક મહિલાની આજે ધોળેદહાડે સરાજાહેર નિર્મમ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર જાગી છે. કચરો ફેંકવા જઈ રહેલી એક મહિલા પર તેણીના જ બનેવીએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવી હોવાનું તારણ મળી રહ્યું છે. સીટી એ ડીવીઝનનો પોલીસ કાફલો હુમલાખોર આરોપીને શોધી રહ્યો છે.આ બનાવને લઇને સિલ્વર સોસાયટી વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી છે.

આ હિચકારા હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટી શેરી નંબર-2માં રહેતી કરીમાબેન શકીલભાઈ સિપાઈ નામની 35 વર્ષની પરિણીતા આજે સવારે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરમાંથી કચરો લઈને બહાર રોડ નજીક ફેંકવા માટે જઈ રહી હતી, તે દરમિયાન તેણીનો જ બનેવી કે જે મુન્નાના નામથી ઓળખાય છે, જેણે છરીના ચારથી પાંચ જેટલા ઘા ઝીંકી દઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.


આ બનાવને લઇને લોહી નિતરતી અવસ્થાના કરીમાં બેને બુમાબુમ કરી મૂકી હતી. જેથી આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા.

જે મામલે સૌપ્રથમ 108ની ટુકડીને જાણ કરવામાં આવી હતી, જેથી 108ની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી જઈ ઇજાગ્રસ્ત કરીમાબેનને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી હતી. પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને બનાવ હત્યામાં પલટાઇ ગયો હતો.

જે ઘટનાની જાણ થવાથી સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને હુમલાખોર આરોપીને શોધી રહી છે. જુના મનદુઃખને કારણે આ હત્યા નિપજાવી હોવાનું પોલીસે અનુમાન લગાવી વધુ તપાસ હાથ ધરી છે. જે બનાવને લઇને સિલ્વર સોસાયટી વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ છે.