- ઈરાનના વિદેશ મંત્રીની ખુલ્લી વાત
- અરાધચીએ કહ્યું : 'અમેરિકા સાથે તણાવનું કારણ ઇઝરાયલ છે : ઈરાન સરેન્ડર કરશે તે ભૂલી જજો
તહેરાન : ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીએ એક ઇન્ટરવ્યુમાં પરમાણુ શસ્ત્રો અને યુરેનિયમ સંવર્ધન અંગે ખુલ્લી વાત કરી હતી. સાથે અમેરિકા સાથેની તંગદીલી અને યુદ્ધની સ્થિતિ અંગે પણ ઘણી ઘણી વાતો કરી હતી. તેઓએ કહ્યું હતું કે, અમેરિકા સાથેની તંગદિલીનું કારણ ઇઝરાયલ છે. ઈરાન યુદ્ધ અને શાંતિ બંને માટે તૈયાર જ છે પરંતુ યુરેનિયમ સંવર્ધન કરવાનું બંધ નહીં જ કરીએ.
તે ઇન્ટરવ્યૂમાં વધુમાં જણાવ્યું હતું કે, ઈરાન અંગે, અમેરિકાને જે ગેરસમજ છે, તેનું કારણ ઇઝરાયલ છે. ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ લોબિંગ કર્યું છે. ઇઝરાયલને ઈરાન અને તેના લોકો અંગે ખબર જ શી છે ? સાંભળેલી વાતો ઉપરથી અમેરિકાને જો તેમ લાગે કે ઈરાન સરેન્ડર કરશે તો તે ભૂલી જાવ. તેવું કદી નહીં થાય.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, ઈરાન વાતચીત કરવા તૈયાર છે, પરંતુ ઘૂંટણ નહીં ટેકે. અમેરિકા મંત્રણા કરીને પણ ઈરાનને સમજે. સાચી માહિતી મેળવે તો જ ઈરાન વિષે તેને ખબર પડી શકે. ઈરાન યુદ્ધ અને શાંતિ બંને માટે તૈયાર છે તેમ ફરીથી કહેતાં તેમણે કહ્યું 'અનુભવોના આધારે અમે અમેરિકા સાથે કરારો કરવા તૈયાર છીએ, પરંતુ તે ફેર, બેલેન્સ્ડ અને ઇકવીલિટી (ન્યાયપૂર્ણ), સમતોલ અને સમાનતા) ના આધારે જ થઈ શકે. ગત યુદ્ધ પછી ઈરાનની સેના સંરક્ષણ માટે વધુ તૈયાર છે. પરંતુ સમસ્યા, સમાધાન મંત્રણા અને રાજદ્વારી રીતે ઉકેલ શોધવાની છે. તેમ પણ અરાધચીએ આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.


