Get The App

ઈરાનમાં સત્તાપલટો? અરાઘચી સહિતના નેતાઓને હાંસિયે ધકેલીને નવા નેતાએ સુકાન સંભાળ્યું

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનમાં સત્તાપલટો? અરાઘચી સહિતના નેતાઓને હાંસિયે ધકેલીને નવા નેતાએ સુકાન સંભાળ્યું 1 - image
image wikipedia

US Iran War Updates: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા ફરી એકવાર ઠગારી નિવડી છે. સ્ટેટ ઑફ હોર્મુઝમાં ઈરાનના કાર્ગો જહાજ પર અમેરિકાએ કરેલા હુમલાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ હુમલા બાદ ઈરાનની અંદર કૂટનીતિક ટીમોને સાઇડલાઇન કરી દેવામાં આવી છે અને IRGCના (ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) કટ્ટરપંથી કમાન્ડરોએ દેશના મહત્ત્વના નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે. 

ઈરાનમાં આંતરિક સત્તાપલટો, કટ્ટરપંથી કમાન્ડરો મજબૂત

ધ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, IRGCના કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી હવે ઈરાનના મુખ્ય નિર્ણયકર્તા બની ગયા છે. અત્યાર સુધી અમેરિકા સાથે નરમ વલણ અપનાવતા વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને કિનારે કરી દેવાયા છે. વાહિદી અને તેમની ટીમે સ્પષ્ટતા કરી છે કે, અમેરિકા સાથેની કોઈપણ શાંતિ વાટાઘાટો હાલમાં મુલતવી રાખવામાં આવી છે. અમેરિકી નૌકાબંધીના જવાબમાં સ્ટેટ ઑફ હોર્મુઝ સંપૂર્ણપણે બંધ રહેશે. ઈરાની વાટાઘાટકાર ટીમને તેહરાન પાછી બોલાવી લેવામાં આવી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં થનારી શાંતિ મંત્રણા નિષ્ફળ! ટ્રમ્પે કહ્યું આખું ઈરાન રાખ કરી નાંખીશું, તેહરાને શરતો ઠુકરાવી

ટ્રમ્પની વ્યૂહરચના ઊંધી પડી?

નિષ્ણાતો માની રહ્યા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય દબાણ વધારીને ઈરાનને મંત્રણાના ટેબલ પર લાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે પોતાના પગ પર કુહાડી મારવા જેવું સાબિત થયું છે. અમેરિકી હુમલાને કારણે ઈરાનના કટ્ટરપંથી નેતાઓને વધુ બળ મળ્યું છે, જેને પગલે હવે કોઈ પણ સમજૂતી થવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે.

વૈશ્વિક ક્રૂડ સપ્લાય ખોરવાયો

વીકેન્ડ દરમિયાન ઈરાને હોર્મુઝના માર્ગે પસાર થતાં ઓછામાં ઓછા ત્રણ જહાજોને નિશાન બનાવ્યા હતા. જેના કારણે ફારસની ખાડીમાં સેંકડો જહાજો ફસાઈ ગયા છે. વિશ્વના તેલ વેપાર માટેનો આ સૌથી મહત્ત્વનો માર્ગ બંધ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવવાની ભીતિ છે.

શું મંગળવાર સુધીનો યુદ્ધવિરામ ટકશે?

વોશિંગ્ટન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઑફ વોર(ISW)ના મતે, ઈરાનમાં જે રીતે સૈન્ય નેતૃત્વ હાવી થયું છે, તે જોતાં મંગળવાર સુધી નક્કી કરવામાં આવેલો નાજુક યુદ્ધવિરામ આગળ વધશે કે કેમ તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સુપ્રીમ લીડર મૌજતબા ખમેનેઈ પણ હાલમાં પડદા પાછળ રહીને IRGCને સમર્થન આપી રહ્યા હોવાનું ચર્ચાય છે.