US Iran War: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા જંગની વચ્ચે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પને જોરદાર ઝટકો લાગ્યો છે. એક મોટા અધિકારીએ ઈરાન સામે યુદ્ધમાં ઉતરવાની તેમની નીતિ પર સવાલો ઉઠાવતા રાજીનામું આપી દીધું છે.
'ઈઝરાયલ અને તેની શક્તિશાળી અમેરિકન લોબીનું દબાણ!'
અમેરિકાના કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડાયરેક્ટર જો કેન્ટએ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, 'મારો વિવેક કહે છે કે હું મારી અંતરાત્માના અવાજ પર ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધનું સમર્થન કરી શકું નહીં. ઈરાનથી આપણા દેશને કોઈ તાત્કાલીક ખતરો ન હતો, અને એ સ્પષ્ટ છે કે આપણે આ યુદ્ધ ઈઝરાયલ અને તેની શક્તિશાળી અમેરિકન લોબીના દબાણમાં શરૂ કર્યું છે.' કેન્ટે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી સૈન્ય અથડામણોને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. ઈરાન યુદ્ધને કારણે ટ્રમ્પ પ્રશાસનમાંથી થયેલી આ સૌથી હાઇ-પ્રોફાઇલ વિદાય પૈકીની એક છે.
ઈરાન અમેરિકાને કોઈ ખતરો ન હતો
કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડાયરેક્ટર તરીકે જો કેન્ટ અમેરિકાની એક મહત્ત્વની ગુપ્તચર એજન્સીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમનું કામ દેશ માટે આતંકવાદી જોખમોની ઓળખ કરવી અને તેનું વિશ્લેષણ કરવાનું હતું. પરંતુ આ જ અધિકારીએ કહ્યું છે કે હાલમાં ઈરાન અમેરિકા માટે કોઈ ખતરો ઊભો કરી રહ્યું નહોતું.
ટ્રમ્પે પાછીપાની કરશે?
મહત્ત્વનું છે કે ટ્રમ્પ એક તરફ દાવો કરી રહ્યા છે કે ઈરાન આતંકવાદ ફેલાવી રહ્યું છે બીજી તરફ અમેરિકાની આ એજન્સી અમેરિકન સરકારના અનેક વિભાગો વચ્ચે આતંકવાદ વિરોધી ઈન્ટેલિજન્સના તાલમેલમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમાં ઈન્ટેલિજન્સ કોમ્યુનિટી, પેન્ટાગોન અને કાયદા અમલીકરણ એજન્સીઓનો સમાવેશ થાય છે. જેના ડાયરેક્ટર રાજીનામું ધરી દેતા કહી રહ્યા છે કે ઈરાનથી હાલ કોઈ ખતરો ન હતો.
ટ્રમ્પની પ્રચારમાં હતી તે વિદેશ નીતિનું સમર્થન
પોતાના રાજીનામાની જાહેરાત કરવા માટે જો કેન્ટે ટ્રમ્પને એક પત્ર લખી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, આ પત્રમાં જો કેન્ટે રાજીનામા પાછળના કારણો સમજાવ્યા છે. તેમણે પત્રમાં કહ્યું કે, તેઓ એવા મૂલ્યો અને વિદેશ નીતિઓનું સમર્થન કરે છે જેના આધારે ટ્રમ્પે 2016, 2020 અને 2024માં ચૂંટણી પ્રચાર કર્યો હતો, પરંતુ તેઓ ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કરવાના રાષ્ટ્ર પ્રમુખના નિર્ણય સાથે સહમત નથી.
'લગામ તમારા જ હાથમાં'
તેમણે લખ્યું છે કે, 'હું પ્રાર્થના કરું છું કે તમે એ વાત પર વિચાર કરો કે આપણે ઈરાનમાં શું કરી રહ્યા છીએ અને કોના માટે કરી રહ્યા છીએ. હવે સાહસિક પગલાં ભરવાનો સમય આવી ગયો છે. તમે તમારો રસ્તો બદલી શકો છો અને આપણા દેશ માટે એક નવો માર્ગ ખોલી શકો છો, અથવા તમે અમને વધુ પતન અને અરાજકતા તરફ ધકેલી શકો છો. તમામ લગામ તમારા જ હાથમાં છે.'


