Iranian Army warns US warships in Hormuz : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થીની વાતચીત નિષ્ફળ ગયા બાદ ફરી બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. રિપોર્ટ મુજબ, અમેરિકાના યુદ્ધજહાજો હોર્મુઝ જળમાર્ગમાં ઈરાને બિછાવેલી વિસ્ફોટ સુરંગો હટાવવા માટે પહોંચ્યા હતા, જોકે ઈરાને જહાજોને ખદેડી દીધા હોવાની માહિતી સામે આવી છે. યુદ્ધજહાજોએ વિવાદાસ્પદ જળ વિસ્તારમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ઈરાની સેનાએ તુરંત ત્યાં આવતાં જ બંને સામ-સામે આવી ગયા હતા.
ઈરાની સેનાએ અમેરિકન જહાજોને આપી ચેતવણી
ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલો મુજબ, અમેરિકી નૌસેનાના બે ગાઈડેડ-મિસાઇલ વિધ્વંસક જહાજો હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. આ જ દરમિયાન ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)એ જહાજોને કડક ચેતવણી આપી હતી. ત્યાં એક સામાન્ય જહાજ પણ હતું, જેમાં ઈરાની સેનાનો રેડિયો મેસેજ રેકોર્ડ કરવામાં આવ્યો છે. તે મુજબ સેનાએ યુએસ જહાજોને કહ્યું હતું કે, ‘પરત જતા રહો, નહીં તો હુમલો કરી દઈશું. અમે છેલ્લી ચેતવણી આપી રહ્યા છીએ, આ અમારી છેલ્લી ચેતવણી છે...’
સામસામે આવ્યા બાદ અમેરિકન યુદ્ધ જહાજોએ ઈરાની સેનાને શું કહ્યું?
ચેતવણી બાદ અમેરિકાએ જવાબ આપ્યો કે, ‘અમારા જહાજો આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જળમાર્ગમાંથી પસાર થઈ રહ્યા છે, અમે કોઈને પડકાર ફેંકવાના ઈરાદે આવ્યા નથી. અમે યુદ્ધવિરામના નિયમોનું પાલન કરીશું.’ રિપોર્ટ મુજબ અમેરિકા બંને યુદ્ધ જહાજો કોઈપણ ઘર્ષણ વગર હોર્મુઝ પાર કરવામાં સફળ થયા છે. જોકે લગભગ છ અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકન યુદ્ધ જહાજો જળમાર્ગથી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, તેવું પહેલીવાર બન્યું છે. અગાઉ ઈરાને હોર્મુઝને બંધ કરી દીધું હતું.
અમે હોર્મુઝમાં બિછાવેલા વિસ્ફોટ પદાર્થો હટાવી રહ્યા છીએ : અમેરિકાનો દાવો
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, બે યુદ્ધ જહાજે (યુએસએસ ફ્રૈંક ઈ પીટરસન અને યુએસએસ માઈકલ મર્ફી) વેપાર માટે સમુદ્ર માર્ગ ફરી ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પાણીની અંદર ડ્રોન તહેનાત કરીને હોર્મુઝમાં ઈરાને બિછાવેલી વિસ્ફોટક સુરંગોને હટાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. કમાન્ડર એડમિરલ બ્રૈડ કૂપરે કહ્યું કે, કોમર્શિયલ જહાજો માટે અમેરિકા નવો સુરક્ષિત રસ્તો તૈયાર કરી રહ્યો છે, જે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, અમેરિકા હોર્મુઝ પર ઈરાનના નિયંત્રણનો અસ્વિકાર કરે છે.
VIDEO : ઈઝરાયલની લેબેનોનમાં ભયાનક તબાહી, આખેઆખા ગામ ઉડાવી દીધા, 90 ટકા ઘરો નષ્ટ
અમેરિકન જહાજોએ પીછેહઠ કરી : ઈરાની મીડિયાનો દાવો
બીજીતરફ ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે, ઈરાની સેનાએ યુદ્ધવિરામનો ઉલ્લેખ કરીને અમેરિકન જહાજોને પ્રતિક્રિયા આપી છે, જેના કારણે તે જહાજો પીછેહઠ કરવામાં મજબૂર થયા છે. આ કાર્યવાહીમાં ઈસ્લામાબાદમાં ચાલી રહેલી વાતચીતની અસર જોવા મળી છે.
ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ
અમેરિકા-ઈઝરાયેલે ઈરાન પર 28 ફેબ્રુઆરીથી હુમલાઓ શરૂ કરીને ભયાનક યુદ્ધ શરૂ કર્યું હતું, ત્યાર પછી 8મી એપ્રિલે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાને મધ્યસ્થીની જવાબદારી માથે લીધી હતી, જેમાં આ યુદ્ધવિરામને ટકાવી રાખવા માટે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ વચ્ચે શનિવાર અને રવિવારે (તા.11-12) સતત બેઠકોનો દોર ચાલ્યો હતો, જોકે હવે આ મંત્રણા નિષ્ફળ ગઈ છે, જેના કારણે ફરી યુદ્ધ શરૂ થવાના આશંકાઓ વધી ગઈ છે.
આ પણ વાંચો : સાઉદી અને કતરે પાકિસ્તાનનું ઘટાડ્યું ટેન્શન, હવે UAEને ચૂકવી શકશે દેવું


