અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને ફસાયું પાકિસ્તાન! UN ચીફ ભડક્યા, નિષ્પક્ષ તપાસની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
UN Chief Condemns Airstrike: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ડ્રગ રિહેબિલિટેશન હૉસ્પિટલ પર થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાની સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સખત શબ્દોમાં નિંદા કરી છે. સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ થયેલા આ ભીષણ હુમલામાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. ગુટેરેસે આ ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ દર્દીઓ, તબીબી સ્ટાફ અને હૉસ્પિટલો જેવી સુવિધાઓની સુરક્ષા દરેક સંજોગોમાં થવી જોઈએ.
1.15 લાખ લોકો બન્યા બેઘર
વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના રિપોર્ટ મુજબ આ હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા 10 આરોગ્ય કેન્દ્રોને નુકસાન પહોંચ્યું છે. 6 માર્ચથી શરૂ થયેલા સીમાપારના આ સંઘર્ષને કારણે કાબુલ સહિત અફઘાનિસ્તાનના 10 પ્રાંતો પ્રભાવિત થયા છે. આ હિંસાને કારણે અંદાજે 1.15 લાખ લોકો વિસ્થાપિત થયા છે અને 1.6 લાખથી વધુ લોકો ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત, હુમલામાં 300થી વધુ આશ્રયસ્થાનો પણ નાશ પામ્યા છે.
તાત્કાલિક સંઘર્ષવિરામની અપીલ
વધતા જતાં તણાવને ધ્યાનમાં રાખીને મહાસચિવે તમામ પક્ષોને તાત્કાલિક હિંસા રોકવા અને સંઘર્ષવિરામ અમલી બનાવવા વિનંતી કરી છે, સાથે જ તેમણે સામાન્ય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો છે. જોકે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઈદ નિમિત્તે થયેલા કામચલાઉ યુદ્ધવિરામને સંયુક્ત રાષ્ટ્રએ આવકાર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આ શાંતિ લાંબો સમય ટકશે જેથી નિર્દોષ લોકો સુરક્ષિત રહે.








