Turkey Israel Controversy: અમેરિકા ઈઝરાયલ અને ઈરાનમાં તણાવ વચ્ચે હવે તૂર્કિયે અને ઈઝરાયલ સામ સામે આવી ગયા છે. તૂર્કિયેના વિદેશ મંત્રી હાકાન ફિદાને આજે સોમવારે કહ્યું કે ઈઝરાયલ 'દુશ્મન વિના રહી શકતું નથી' અને તેની સરકાર હવે તૂર્કિયેને દુશ્મન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગાઝા યુદ્ધ શરૂ થયા પછી તૂર્કિયે અને ઈઝરાયલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ વિવાદ આ અઠવાડિયે ત્યારે ચરમસીમાએ પહોંચી ગયો જ્યારે તૂર્કિયેના રાષ્ટ્ર પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એકબીજા પર નિવેદનો આપતા જોવા મળ્યા હતા.
તૂર્કિયેના વિદેશ મંત્રીએ શું કહ્યું
વિદેશ મંત્રી ફિદાને સરકારી સમાચાર એજન્સી અનાદોલુને આપેલા ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'ઈરાન પછી, ઈઝરાયલ દુશ્મન વિના રહી શકતું નથી. અમે જોઈ રહ્યા છીએ કે માત્ર નેતન્યાહૂ વહીવટીતંત્ર જ નહીં પરંતુ વિપક્ષના કેટલાક નેતાઓ પણ જો કે બધા નહીં તૂર્કિયેને નવો શત્રુ જાહેર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઈઝરાયલમાં એક નવો વિકાસ છે... જે એક રાજ્ય વ્યૂહરચનાનું સ્વરૂપ લઈ રહ્યો છે.'
વિવાદનું કારણ
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તૂર્કિયેના રાષ્ટ્ર પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે તેઓ તેમના પોતાના કુર્દ નાગરિકોનો 'નરસંહાર' કરી રહ્યા છે અને ઈરાનના'આતંકવાદી શાસન' ને સમર્થન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા નેતન્યાહૂએ કહ્યું, 'મારા નેતૃત્વ હેઠળ ઈઝરાયલ ઈરાનના આતંકવાદી શાસન અને તેના સાથીઓ સામે લડાઈ ચાલુ રાખશે, જ્યારે એર્દોગન તેમને સમર્થન આપે છે અને પોતાના જ કુર્દ નાગરિકોનો નરસંહાર કરે છે.'
હીટ ઓફ મોમેન્ટ
આ પછી એર્દોગનનું નિવેદન આવ્યું કે જો પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો ન થઈ હોત તો તૂર્કિયેએ ઈઝરાયલ પર હુમલો કરીને પાઠ ભણાવ્યો હોત. તૂર્કિયેના અન્ય નેતાઓએ પણ ઈઝરાયલ પર નિવેદનબાજી કરી હતી. આજે ફરી તૂર્કિયેના વિદેશ મંત્રીનું નિવેદન દર્શાવે છે કે તૂર્કિયે અને ઈઝરાયલ વચ્ચેની આ નિવેદનબાજી વ્યૂહાત્મક સ્વરૂપ લઈ રહી છે અને આ એવું કંઈ નથી, જેને હીટ ઓફ ધ મોમેન્ટ કહીને હળવાશથી લેવામાં આવે.


