ફરી શરૂ થશે યુદ્ધ? ટ્રમ્પની ઈરાનને ધમકી- અમેરિકન જહાજ પર હુમલો થયો તો તમારું નામનિશાન મટાવી દઈશું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Trump Warns Iran: અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રી સીમા પર અત્યારે તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન જહાજો પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો વળતો જવાબ અત્યંત ઘાતક આપવામાં આવશે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે આક્રમક તેવર બતાવતા કહ્યું કે, જો આવી હરકત થશે તો ઈરાની દળોને 'પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખવામાં આવશે'. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા પાસે અત્યારે અત્યાધુનિક શસ્ત્રો છે અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરતા અચકાશે નહીં.
'પ્રોજેક્ટ ફ્રીડમ' અને દરિયાઈ ઘર્ષણ
ઈરાન દ્વારા પર્સિયન ગલ્ફમાં કરવામાં આવેલી નાકેબંધીને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ નાકેબંધી તોડવા અને ત્યાં ફસાયેલા સેંકડો વ્યાપારી જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકાએ 'પ્રોજેક્ટ ફ્રીડમ' નામનું ખાસ નૌકાદળ ઓપરેશન શરૂ કર્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, અમેરિકન દળોએ આ વિસ્તારમાં ઈરાન તરફથી કરવામાં આવેલા ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે.
આ સંઘર્ષ દરમિયાન અમેરિકન નૌકાદળના હેલિકોપ્ટરોએ ઈરાનની 6 જેટલી બોટનો નાશ કર્યો છે, કારણ કે આ બોટ વ્યાપારી જહાજો માટે મોટું જોખમ ઊભું કરી રહી હતી. આ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો છે કે ઈરાને દક્ષિણ કોરિયાના એક એવા માલવાહક જહાજ પર પણ હુમલો કર્યો છે જે અમેરિકાના રક્ષણ હેઠળ હતું. આમ, સમુદ્રી માર્ગો પર સુરક્ષા જાળવવા માટે અત્યારે બંને દેશો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.
વૈશ્વિક બજાર અને ક્રૂડ ઓઇલ પર અસર
આ દરિયાઈ તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાં અત્યારે હજારો નાવિકો અને સેંકડો જહાજો ફસાયેલા છે. આ નાકેબંધી અને સતત વધતા જોખમને કારણે વીમા કંપનીઓએ પણ આ વિસ્તારમાં જોખમનું સ્તર વધારી દીધું છે. પરિણામે, ઊર્જા બજાર પર દબાણ વધ્યું છે અને ઈંધણ તેમજ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડી શકે છે. બીજી તરફ, ઈરાને પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વિદેશી દળો તેની સરહદ તરફ આવશે, તો તેને દુશ્મન ગણીને નિશાન બનાવવામાં આવશે.









