Get The App

'હોર્મુઝ કોઈ પણ કિંમતે બંધ નહીં થવા દઈએ...' શાંતિ મંત્રણા અગાઉ ટ્રમ્પે ઇરાનને ધમકાવ્યું

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
'હોર્મુઝ કોઈ પણ કિંમતે બંધ નહીં થવા દઈએ...' શાંતિ મંત્રણા અગાઉ ટ્રમ્પે ઇરાનને ધમકાવ્યું 1 - image

US-Iran Peace Talks 2026: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવનો અંત લાવવા માટે શનિવારે (11મી એપ્રિલ) પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક ઐતિહાસિક બેઠક યોજાવા જઈ રહી છે. જોકે, આ બેઠક પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક વલણ અપનાવી ઇરાનને ગંભીર ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે 'વ્યાપારિક દ્રષ્ટિએ અતિ મહત્વના એવા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને કોઈપણ કિંમતે બંધ થવા દેવામાં આવશે નહીં.'

‘હોર્મુઝ સ્ટ્રેટ’ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ, ટેક્સ વસૂલાત સાંખી લેવાશે નહીં

અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દરિયાઈ માર્ગની સુરક્ષા અંગે અમેરિકાની મક્કમતા વ્યક્ત કરતા કહ્યું કે, 'હોર્મુઝ સ્ટ્રેટ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને ત્યાં કોઈને પણ મનસ્વી રીતે કામ કરવાની મંજૂરી અપાશે નહીં. ઇરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર કોઈ પણ પ્રકારનો કર કે ટોલ વસૂલવાનો પ્રયાસ ન કરે, અમેરિકા મુક્ત નેવિગેશન સુનિશ્ચિત કરવા સંપૂર્ણ સજ્જ છે.' ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇરાન લશ્કરી રીતે યુદ્ધ હારી ગયું છે, અને હવે અમારો ધ્યેય આ માર્ગને સંપૂર્ણપણે ખુલ્લો રાખવાનો છે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં શાંતિના સંકેત, ઈરાનના પ્રતિનિધિ પાકિસ્તાન પહોંચ્યા, ઈસ્લામાબાદમાં આજે બેઠક

આ બેઠક ‘મેક ઓર બ્રેક’ સમાન

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ મેગા સંવાદનું મહત્ત્વ વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. તેના મતે, આ વાતચીત કાયમી યુદ્ધવિરામ માટેની છેલ્લી અને સૌથી મોટી તક છે. સમગ્ર મિડલ ઇસ્ટમાં શાંતિ આ બેઠકના પરિણામ પર નિર્ભર છે. પાકિસ્તાન આ મહત્ત્વપૂર્ણ વાટાઘાટોનું યજમાન બનીને તણાવનો કાયમી ઉકેલ શોધવા પ્રયાસ કરી રહ્યું છે.

આગળની વાટાઘાટો પર સસ્પેન્સ

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ છેલ્લી બેઠક હશે, ત્યારે તેમણે સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. તેમણે અગાઉની અમેરિકાની સરકારો પર નિશાન સાધતા કહ્યું કે, 'તેઓ 47 વર્ષથી ફક્ત વાતો કરી રહ્યા છે. આજની બેઠક જ નક્કી કરશે કે આગળ શું થશે. આપણે જોવું પડશે કે આવતીકાલ શું લાવે છે.'

વિશ્વ અર્થતંત્ર માટે કેમ મહત્ત્વની છે આ બેઠક?

હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના ઓઈલ પુરવઠા માટેની મુખ્ય નળી સમાન છે. જો ત્યાં તણાવ વધે તો વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. આ સંજોગોમાં શનિવારે યોજાનારી આ બેઠક માત્ર રાજકીય નહીં પણ આર્થિક દ્રષ્ટિએ પણ અત્યંત નિર્ણાયક સાબિત થશે.