Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અમેરિકન સેના આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન છોડી દેશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનમાં 'રિજીમ ચેન્જ' (સત્તા પરિવર્તન) નો તેમનો મુખ્ય લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે, તેથી હવે આ સંઘર્ષને લાંબો ખેંચવાની કોઈ જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ ખતમ કરવા માટે તેમને ઈરાન સાથે કોઈ પણ પ્રકારના કરાર કે સમજૂતીની જરૂર નથી.
'રિજીમ ચેન્જ'નો લક્ષ્યાંક પૂરો થયો
ટ્રમ્પના મતે, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલાઓમાં ઈરાનનું ટોચનું નેતૃત્વ લગભગ ખતમ થઈ ચૂક્યું છે. આ હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ સહિત તેમના પરિવારના સભ્યો અને અનેક દિગ્ગજ અધિકારીઓના મોત થયા છે. ખામેનેઈના પુત્ર મોઝતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર બનાવાયા હોવા છતાં, તેઓ ક્યાં છે તે અંગે હજુ સસ્પેન્સ છે. ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું કે, "ઈરાન હવે કોઈ પરમાણુ હુમલો કરી શકશે નહીં કારણ કે તેમના મોટાભાગના નેતાઓ હવે રહ્યા નથી."
ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે મતભેદ?
એક તરફ ટ્રમ્પ યુદ્ધ વિરામ અને સેના વાપસીની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હજુ સુધી જંગ ખતમ કરવાની કોઈ ડેડલાઈન આપી નથી. નેતન્યાહુએ તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ ઈરાન સામેના જંગના અંત અંગે અત્યારે કંઈ કહી શકે તેમ નથી. આ સ્થિતિમાં ટ્રમ્પનો આ નિર્ણય એકતરફી છે કે કોઈ ગુપ્ત ડીલનો ભાગ, તે અંગે પણ અટકળો તેજ થઈ છે.
ભારત પર અસર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા આ સંકટની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. યુદ્ધને કારણે ખાતર (Fertilizer) ની કાળાબજારી વધી છે અને યુરિયાના ભાવમાં ૪ ગણો વધારો નોંધાયો છે. જો ટ્રમ્પની જાહેરાત મુજબ યુદ્ધ ખતમ થાય છે, તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેઈન ફરીથી પાટા પર આવી શકે છે.


