IRIS Bushehr Sri Lanka control : મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભયાનક યુદ્ધની અસર હવે હિંદ મહાસાગર સુધી પહોંચી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતાં તણાવ વચ્ચે, શ્રીલંકા સરકારે ઈરાની નૌકાદળના જહાજ IRIS બુશહર અને તેના ક્રૂ મેમ્બર્સની કાર્યવાહી સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં લઈ લીધી છે.
શું બની હતી ઘટના?
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈરાની યુદ્ધજહાજ IRIS ડેના (જેણે ભારતમાં આયોજિત ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ-2026માં ભાગ લીધો હતો) બુધવારે શ્રીલંકાના દક્ષિણ કિનારા પાસે અમેરિકાની એક સબમરીનના હુમલા બાદ ડૂબી ગયું હતું. આ ઘટના બાદ તેનું સાથી જહાજ 'IRIS બુશહર' મુશ્કેલીમાં મૂકાયું હતું અને તેણે શ્રીલંકા પાસે આશરો માંગ્યો હતો.
શ્રીલંકાના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, શ્રીલંકા એક તટસ્થ દેશ તરીકે આંતરરાષ્ટ્રીય નિયમો (યુનાઇટેડ નેશન્સ મેરીટાઇમ લૉ) મુજબ આ સ્થિતિને સંભાળી રહ્યું છે. તેમણે કહ્યું કે, "માનવતાને મહત્ત્વ આપીને અમે ઈરાની જહાજ અને તેના કર્મચારીઓને શ્રીલંકાની દેખરેખ હેઠળ લેવાનો નિર્ણય કર્યો છે."
આ પણ વાંચો : ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ', વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન
રેસ્ક્યુ અને સુરક્ષા માટેનો પ્લાન
વ્યાવસાયિક સંવેદનશીલતાને કારણે જહાજને મુખ્ય કોલંબો પોર્ટ પર લાવવાને બદલે પૂર્વમાં આવેલા ત્રિંકોમાલી પોર્ટ વિસ્તારમાં લઈ જવામાં આવશે. જહાજ પર 53 અધિકારીઓ, 84 કેડેટ અધિકારીઓ, 48 વરિષ્ઠ નાવિકો અને 21 નાવિકો છે. તમામ સભ્યોની મેડિકલ તપાસ અને રજિસ્ટ્રેશન પછી તેમને શ્રીલંકાના પશ્ચિમી પ્રાંતના વેલિસારા નેવી કેમ્પમાં રાખવામાં આવશે.
તટસ્થતા જાળવવા પ્રયાસ
રાષ્ટ્રપતિએ આ સ્થિતિને 'અસામાન્ય' ગણાવી છે કારણ કે આ જહાજ એવા દેશનું છે જે અત્યારે સક્રિય સંઘર્ષનો ભાગ છે. શ્રીલંકાની નૌસેના અને ઈરાની ક્રૂની એક સંયુક્ત ટીમ જહાજને સુરક્ષિત જગ્યાએ લઈ જશે, જેથી આંતરરાષ્ટ્રીય જળસીમામાં વધુ કોઈ વિવાદ ન સર્જાય.


