- ઇંધણ કટોકટીના પગલે પાકિસ્તાનમાં કડક સંદેશો
- ઇસ્લામાબાદ સહિત દરેક શહેરોમાં આ નિયમનો સોમવારથી જ અમલ માત્ર હૉસ્પિટલો, ફાર્મસી (મેડિકલ સ્ટોર્સ) પેટ્રોલ પંપ, IT કંપનીઓને મુક્તિ અપાઈ
ઇસ્લામાબાદ : ઇંધણ કટોકટીના પગલે ઇસ્લામાબાદમાં સોમવારથી જ ઊર્જા બચાવવા માટે કડક અંકુશો મુકાઈ ગયા છે જે અન્ય શહેરોમાં પણ લાગુ પડવાની પૂરી શક્યતા છે.
તે સર્વવિદિત છે કે, પાકિસ્તાનમાં પેટ્રોલ, ડીઝલના ભાવ આકાશને સ્પર્શી રહ્યા છે. તેથી ઉર્જા બચાવવા દુકાનો તથા અન્ય વ્યાપારી સંસ્થાનો રાત્રિના આઠ વાગે બંધ કરી દેવાનો કડક હુકમ બહાર પડી ગયો છે.
ઇસ્લામાબાદના ડેપ્યુટી કમિશ્નર ઇરફાન મેમણે સોશ્યલ મીડિયા ઉપર જાહેર કર્યું હતું કે, આ નિયમનો પાળવા ફરજિયાત છે તે સપ્તાહના સાતે દિવસ અમલી રહેશે. ઇસ્લામાબાદના ડીસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને પ્રસિદ્ધ કરેલા જાહેરનામા પ્રમાણે ૧લી જૂન, ૨૦૨૬થી દરેક દુકાનો, શોપિંગ મૉલ્સ, રાત્રિના ૮-૦૦ વાગે બંધ કરવા પડશે. જ્યારે રેસ્ટોરાં, અનાજ કરિયાણાની દુકાનો, બેકરી તથા ખાણીપીણીના સ્ટોલ્સ રાત્રિના ૧૦ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.
આ જાહેરનામામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મેરેજ હૉલ્સ. નૃત્યુગૃહો, સિનેમા, થિયેટર્સ રાત્રિના ૧૦ વાગે બંધ કરવા જ પડશે પરંતુ ફાર્મસીઝ (મેડિકલ સ્ટોર્સ), હૉસ્પિટલ્સ, પેટ્રોલ પંપ, શોપ્સ, સ્પોર્ટસ ફેસીલીટી, કૉલ સેન્ટર્સ, અને વિદેશોના (ખાસ કરીને અમેરિકામા) વસતા પોતાના ક્લાયન્ટસને સેવા આપતા કૉલ-સેન્ટર્સને આ નિયમો અને અંકુશોમાંથી મુક્ત રાખવામાં આવશે.


