(પીટીઆઇ) કીવ,
તા. ૩
રશિયાએ યુક્રેન પર દિવસનાં સમયે કરેલા હુમલાઓમાં ઓછામાં ઓછા
પાંચ લોકોનાં મોત થયા છે. રશિયાએ યુક્રેનની રાજધાની પાસે એક જોરદાર મિસાઇલ અને
ડ્રોન હુમલો કર્યો હતો.
યુક્રેનનાં અધિકારીઓએ દાવો કર્યો છે કે રશિયા નાગરિકોની
તકલીફો વધારવા માટે પોતાની રણનીતિ બદલી રહ્યું છે. હવે રશિયા દિવસમાં હુમલા કરી
રહ્યું છે અને વધારે મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચરને
નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
આ દરમિયાન યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ ઇસ્ટર પર સંભવિત
યુદ્ધવિરામ માટે યુક્રેનની તત્પરતાનાં સંકેત આપ્ય હતાં. આ તહેવાર યુક્રેન અને
રશિયા બંને દેશોેમાં ૧૨ એપ્રિલે ઉજવવામાં આવે છે.
ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે યુક્રેન રશિયન હવાઇ
હુમલાની રણનીતિમાં થયેલા ફેરફારનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે કારણકે ગુપ્ત
માહિતીથી જાણવા મળ્યું છે કે ભવિષ્યનાં હુમલા હવે ફક્ત ઉર્જાથી જોડાયેલ
ઇન્ફ્રાસ્ટ્રચર સુધી મર્યાદિત રહેશે નહીં.
યુક્રેનનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેન પર
૫૦૦ ડ્રોન અને મિસાઇલો છોડી હતી. યુક્રેનનાં વિદેશ પ્રધાન એન્ડ્રી સિબિહાએ
જણાવ્યું હતું કે યુક્રેનનાં યુદ્ધવિરામનાં પ્રસ્તાવનો જવાબ રશિયા ડ્રોન અને
મિસાઇલ છોડીને આપી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ સંકેત આપ્યા
છે કે યુક્રેન ઇસ્ટર પર સંભવિત યુદ્ધ વિરામ માટે હજુ પણ તૈયાર છે. આ પ્રસ્તાવની
જાણ રશિયાને કરી દેવામાં આવી છે. જો કે રશિયા તરફથી આ પ્રસ્તાવ અંગે કોઇ જવાબ
આપવામાં આવ્યો નથી. ગયા વર્ષે ઇસ્ટર પર રશિયાએ ૩૦ કલાકનાં યુદ્ધ વિરામની જાહેરાત
કરી હતી પણ બંને પક્ષોએ એકબીજા પર તેનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો.
આ દરમિયાન યુક્રેનનાં અધિકારીઓએ જણાવ્યું છે કે હવે રશિયા
દિવસનાં સમયે વધારે હુમલા કરી રહ્યું છે. જે છેલ્લા કેટલાક મહિનાઓથી રાતનાં સમયે
કરવામાં આવતા હુમલાની રણનીતિથી તદ્દન અલગ છે.
બીજી તરફ રશિયનાં ક્ષેત્રીય ગવર્નર એલેક્ઝાન્ડરે જણાવ્યું
છે કે યુક્રેને રશિયાનાં લેનિનગ્રાદ
ક્ષેત્ર પર ડ્રોનથી હુમલો કર્યો છે. જેના કારણે ઘાયલ થયેલા બે લોકોને હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યા છે.


