World

રશ્દીના 'વ્હાઈટ બ્રેડ પુરસ્કાર' વિજેતા પુસ્તક પર રાજીવ ગાંધી સરકારે મુક્યો હતો પ્રતિબંધ

By GS Team
13 Aug 20223 mins read
This article was originally published on 13 Aug 2022
રશ્દીના 'વ્હાઈટ બ્રેડ પુરસ્કાર' વિજેતા પુસ્તક પર રાજીવ ગાંધી સરકારે મુક્યો હતો પ્રતિબંધ

- પુસ્તકનો સૌથી વધુ વિરોધ દેહવિક્રય કરતી 2 મહિલાઓના પાત્ર અંગે થયો હતો

નવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ 2022, શનિવાર

ભારતમાં જન્મેલા બ્રિટિશ નવલકથાકાર સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કારણે રશ્દી પોતાની એક આંખ ગુમાવી દે તેવી શક્યતા છે. લેખકના એજન્ટ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે રશ્દીના એક હાથની નસો તૂટી ગઈ છે અને તેમના લીવરને પણ નુકસાન પહોંચ્યું છે. સાથે જ તેમની એક આંખ પણ જઈ શકે છે. 


હુમલાની આ ઘટના બાદ પાંચેક દશકાથી સાહિત્ય ક્ષેત્રે સક્રિય સલમાન રશ્દી અંગેના ચર્ચિત મુદ્દાઓ ફરી પ્રકાશમાં આવ્યા છે. 75 વર્ષીય રશ્દીના અનેક પુસ્તકોએ ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે જેમાં તેમના બીજા નંબરના પુસ્તક 'મિડનાઈટ ચિલ્ડ્રન'નો પણ સમાવેશ થાય છે. તેને 1981નો બુકર પુરસ્કાર મળ્યો હતો. 

આ પણ વાંચોઃ ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

'સેતાનિક વર્સિઝ' સૌથી વિવાદિત પુસ્તક

જોકે 1988માં આવેલી રશ્દીની ચોથી નવલકથા 'સેતાનિક વર્સિઝ' સૌથી વધુ વિવાદિત રહી છે. તે નવલકથાએ વિશ્વભરમાં અભૂતપૂર્વ હંગામો મચાવ્યો હતો. તે પુસ્તકના કારણે રશ્દીને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી હતી, તેમના મારી નાખવા ફતવો બહાર પડ્યો હતો. તેઓ સતત પોતાનો જીવ બચાવવા સંતાઈ રહ્યા હતા અને બ્રિટિશ સરકારે તેમને સુરક્ષા પૂરી પાડી હતી. 


મુસ્લિમ કટ્ટરપંથીઓમાં રોષ

મુસલમાનોના એક જૂથે ખૂબ જ વાસ્તવિક અને ઉત્તર આધુનિક નવલકથા સેતાનિક વર્સિઝને ઈશનિંદા માની હતી તેના વિરોધમાં વ્યાપક પ્રદર્શનો કર્યા હતા. સ્થિતિ એટલી હદે વણસી હતી કે, ઈરાન અને બ્રિટને રાજદ્વારી સંબંધો પણ તોડી નાખ્યા હતા. 

જોકે રશ્દીને પશ્ચિમી દેશોનું સમર્થન મળી રહ્યું હતું અને પશ્ચિમી બુદ્ધિજીવીઓ, સાહિત્યકારોએ રશ્દીને મુસ્લિમ કટ્ટરવાદીઓ તરફથી મળી રહેલી ધમકીની ટીકા કરી હતી. 

રાજીવ ગાંધી સરકારે મુક્યો પ્રતિબંધ

સૌ પ્રથમ ભારતે તે નવલકથા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. પુસ્તક પ્રકાશિત થયાના એક મહિનાની અંદર જ ભારતમાં તેના પર પ્રતિબંધ મુકાયો હતો અને તે સમયે રાજીવ ગાંધીની સરકાર સત્તા પર હતી. પુસ્તકની આયાત કરવા પર પ્રતિબંધ હતો પરંતુ તેને રાખવું એ ગુનો નહોતો. 


બાદમાં પાકિસ્તાન સહિત અનેક ઈસ્લામિક દેશોએ તેના પર પ્રતિબંધ મુક્યો હતો અને દક્ષિણ આફ્રિકામાં પણ તેના પર પ્રતિબંધ મુકાયો હતો. જોકે અમુક વર્ગ દ્વારા તે નવલકથાની પ્રશંસા કરવામાં આવી હતી અને તેને વ્હાઈટબ્રેડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. જોકે પુસ્તકનો વિરોધ વધી રહ્યો હતો અને 2 મહિના બાદ રસ્તાઓ પર પ્રદર્શનો શરૂ થયા હતા. 

આ પણ વાંચોઃ હુમલા બાદ 'Satanic Verses'ના લેખક સલમાન રશ્દી એક આંખ ગુમાવી દે તેવી શ્કયતા

શા માટે થઈ રહ્યો હતો વિરોધ

મુસલમાનો તે નવલકથામાં ઈસ્લામનું અપમાન થયું હોવાનું માનતા હતા. મુસ્લિમ કટ્ટરપંથીઓને પુસ્તકની અનેક બાબતો સામે વાંધો હતો. જોકે સૌથી વધુ વિરોધ દેહવિક્રય કરતી 2 મહિલાઓના પાત્ર અંગે થયો. પુસ્તકમાં તે બંને મહિલાઓના નામ પયગંબર મોહમ્મદની બે પત્નીઓના નામ પરથી રાખવામાં આવ્યા હતા. 


ભારતમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન અનેકના મોત

- મુસલમાનો 1989માં મુંબઈ ખાતે બ્રિટનના ડિપ્લોમેટિક મિશન બહાર પ્રદર્શન કરવા ઈચ્છતા હતા. પોલીસે બેરિકેડ લગાવીને તેમને અટકાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ બેરિકેડ તોડીને આગળ વધવા લાગ્યા હતા. ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો અને વાહનો, પોલીસ સ્ટેશનને આગના હવાલે કર્યા હતા. પ્રદર્શન દરમિયાન પોલીસના ગોળીબારમાં 12 લોકો માર્યા ગયા હતા જ્યારે 40થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી. 

- ફેબ્રુઆરી 1989માં તત્કાલીન ભારત પ્રશાસિત કાશ્મીરમાં ધ સેતાનિક વર્સિઝના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 3 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

તે પુસ્તકના વિરોધમાં વિશ્વભરમાં હિંસક પ્રદર્શનોનો દોર ફાટી નીકળ્યો હતો.