Get The App

તાનાશાહી છોડો તો જ ડીલ થશે: શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ઈરાને અમેરિકાને બતાવ્યો અરીસો

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
તાનાશાહી છોડો તો જ ડીલ થશે: શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ઈરાને અમેરિકાને બતાવ્યો અરીસો 1 - image


Pezeshkian Warns US: મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ બાદ હાલ સીઝફાયર ચાલી રહ્યું છે. સીઝફાયર દરમિયાન શાંતિ સમજૂતી માટે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં બેઠક યોજાઈ. જોકે બેઠકમાં શાંતિ મંત્રણા નિષ્ફળ રહી હતી. જે બાદથી અમેરિકા સતત ઈરાનને ધમકીઓ આપી રહ્યું છે. એવામાં ઈરાને પણ પોતાનું વલણ વધુ આક્રમક બનાવ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને સોશિયલ મીડિયા પર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો વોશિંગ્ટન ઈરાની પ્રજાના અધિકારોનું સન્માન કરે અને પોતાની જીદ છોડે, તો જ કોઈ પણ સમજૂતી શક્ય છે.

અમે વાટાઘાટો માટે તૈયાર હતા પણ અમેરિકાની શરતોના કારણે બેઠક નિષ્ફળ: ઈરાન

શાંતિ મંત્રણા માટે પાકિસ્તાન ગયેલા ઈરાનના પ્રતિનિધિમંડળના નેતા અને સંસદના સ્પીકર ગાલીબાફે દાવો કર્યો છે કે અમેરિકા ફરી એકવાર ઈરાનનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે 'મિનાબ 168' (Minab 168) પ્રતિનિધિમંડળના મનોબળને બિરદાવ્યું હતું. ગાલીબાફના મતે, ઈરાન વાટાઘાટો માટે તૈયાર હતું, પરંતુ અમેરિકાની શરતો અને જૂના અનુભવોને કારણે મડાગાંઠ ઉકેલાઈ શકી નથી.

અમેરિકાની ઈરાનને ધમકી

બીજી તરફ, અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે ડી વેન્સે આ મંત્રણાના નિષ્ફળ જવા બદલ ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. વેન્સે સંકેત આપ્યો છે કે આ નિષ્ફળતાથી ઈરાનને વધુ આર્થિક અને રાજદ્વારી નુકસાન સહન કરવું પડશે. આ સાથે જ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.