Get The App

PoKમાં લોહીની નદીઓ વહી! પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 30થી વધુના મોત, 200 ઈજાગ્રસ્ત

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
PoK Protests
(IMAGE - IANS)

PoK Protest: પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર એટલે કે PoKમાં પાકિસ્તાની સેનાનો ક્રૂર ચહેરો ફરી એકવાર દુનિયાની સામે આવ્યો છે. PoKમાં પોતાના હકો માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નાગરિકો પર પાકિસ્તાન સેનાએ અંધાધુંધ ગોળીબાર કર્યો છે. આ હિંસક કાર્યવાહીમાં 30થી વધુ નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 

વાસ્તવમાં, PoKના સૌથી મોટા નાગરિક અધિકાર સંગઠન 'જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમેટી' (JAAC) દ્વારા 9 જૂનના રોજ એક ભવ્ય 'લોન્ગ માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ આંદોલનને કચડી નાખવા માટે પાકિસ્તાનની કઠપૂતળી સરકારે આ સંગઠનને જ 'આતંકવાદી સંગઠન' જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

PoKમાં શા માટે ભભૂકી રહી છે વિરોધની આગ?

છેલ્લા ઘણા મહિનાઓથી 'જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમેટી' (JAAC)ના નેતૃત્વમાં PoKની જનતા પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી છે. આ આંદોલનનું મુખ્ય કારણ પાકિસ્તાન દ્વારા અહીંના સ્થાનિક લોકો સાથે કરવામાં આવતું ભેદભાવભર્યું વર્તન છે. PoKના નાગરિકોનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર તેમના કુદરતી સંસાધનોનો આડેધડ ઉપયોગ કરીને અબજો રૂપિયા કમાય છે, પરંતુ તેના બદલામાં સ્થાનિક લોકોને માત્ર આર્થિક તબાહી, મોંઘવારી અને ભેદભાવ જ મળે છે. અહીંના લોકોને દ્વિતીય શ્રેણીના નાગરિક ગણીને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

ઇન્ટરનેટ બંધ અને રાજીવકોટ બન્યું આંદોલનનું કેન્દ્ર

હાલમાં PoKનું રાજીવકોટ શહેર આ ઉગ્ર વિરોધ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. પ્રશાસન દ્વારા JAACના કાર્યકરો અને નેતાઓની ધરપકડ શરૂ કરાતા મામલો વધુ બિચક્યો હતો. આંદોલનકારીઓનો અવાજ દબાવવા માટે પાકિસ્તાન સરકારે 5 જૂનની રાતથી જ સમગ્ર PoKમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ કરી દીધી છે, જેથી લોકો એકબીજા સાથે સંપર્ક ન કરી શકે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અને આર્મી ચીફ અસીમ મુનીરને આ હિંસાનો અંદાજો પહેલાથી જ હતો. આથી જ સરકારે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને પ્રવાસીઓને 5 જૂનથી 20 જૂન વચ્ચે PoKનો પ્રવાસ ન કરવાની કડક સલાહ આપી દીધી હતી.

આ પણ વાંચો: ફરી ટ્રમ્પનો ખેલ બગાડશે નેતન્યાહૂ? ઈરાન સાથેની શાંતિ ડીલ પહેલાં જ લેબેનૉન પર ઝીંક્યા બોમ્બ

લોટ અને વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે વલખાં

PoKમાં આ પ્રકારનો જનઆક્રોશ કોઈ પહેલીવાર જોવા નથી મળ્યો. આ પહેલા વર્ષ 2023માં પણ આવા જ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. PoKની જનતા પાકિસ્તાન સરકાર પાસે સબસિડીવાળો ઘઉંનો લોટ અને સસ્તી વીજળી જેવી પાયાની સુવિધાઓ માંગી રહી છે. પાકિસ્તાન સરકારે ભૂતકાળમાં આ વાયદાઓ કર્યા હતા, પરંતુ તે ક્યારેય પૂરા કર્યા નથી. 2023માં પણ જ્યારે જનતાએ અવાજ ઉઠાવ્યો ત્યારે પાકિસ્તાની સુરક્ષા દળો અને પેરામિલિટ્રી ફોર્સે લાઠીચાર્જ, ટીયર ગેસ અને ગોળીબાર કરીને સેંકડો લોકોને જેલમાં ધકેલી દીધા હતા અને કેટલાય લોકોના જીવ લીધા હતા. પાકિસ્તાન સેના અત્યારે પોતાના જ કબ્જા હેઠળના લોકો પર જુલમ ગુજારીને આ વિદ્રોહને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.