PoKમાં આરપારની લડાઈ: પાકિસ્તાન સામે હથિયાર વિના લડવા રસ્તા પર ઉતર્યા ‘બે લડવૈયા’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PoK Protest Rawalakot : પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK)માં બળવાખોરોની ભારે આગ ભડકી ઉઠી છે, જેણે શહબાઝ સરકાર અને પાકિસ્તાની સેનાના 'આઝાદ કાશ્મીર' વાળા પ્રોપેગૅન્ડાના લીરેલીરા ઉડાવી દીધા છે. રાવલકોટમાં આયોજિત એક વિશાળ રેલીમાં જેએએસી (JAAC)ના નેતા સરદાર અમન ખાને ખુલ્લેઆમ ગર્જના કરતા કહ્યું કે, 'આ કોઈ આઝાદ કે વિવાદિત વિસ્તાર નથી, પરંતુ પાકિસ્તાન દ્વારા કબજે કરવામાં આવેલી ગુલામ જમીન છે.' પ્રદર્શનકારીઓ પર સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં એક સ્થાનિક ક્રિકેટર સહિત 6 નિર્દોષ લોકોના મોત થયા બાદ હવે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે.
'PoK કબજે કરેલી જમીન છે': પાકિસ્તાન પર ભભૂક્યો લોકોનો આક્રોશ
પાકિસ્તાન વર્ષોથી સમગ્ર વિશ્વ સમક્ષ એવો ઢોંગ કરતું આવ્યું છે કે, કાશ્મીરનો જે ભાગ તેની પાસે છે, તે સંપૂર્ણપણે આઝાદ છે. પરંતુ હવે ત્યાંના સ્થાનિક લોકોએ જ આ જૂઠાણાનો પર્દાફાશ કરી દીધો છે. પીઓકેના રાવલકોટ શહેરના ઇદગાહ મેદાનમાં હજારો લોકોની એક વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં ઓછામાં ઓછી 80,000 ની ભીડ ઉમટી પડી હતી. આ રેલીમાં જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના કદાવર નેતા સરદાર અમન ખાને માઇક સંભાળતાની સાથે જ પાકિસ્તાની હુકુમતને સીધો પડકાર ફેંક્યો હતો.
તેમણે પ્રચંડ અવાજે કહ્યું, 'આ કોઈ વિવાદિત પ્રદેશ નથી. આ એક કબજે કરાયેલો પ્રદેશ છે, અને આપણે સંપૂર્ણપણે ગુલામીના પડછાયામાં જીવી રહ્યા છીએ.' તેમની આ વાતને મેદાનમાં હાજર હજારો લોકોએ તાળીઓના ગડગડાટ સાથે ટેકો આપ્યો હતો, અને પાકિસ્તાન સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. સરદાર અમન ખાનના આ નિવેદને પાકિસ્તાનના એ ખોખલા પ્રચારની પોલ ખોલી દીધી છે, જેને તે દાયકાઓથી આંતરરાષ્ટ્રીય મંચો પર વેચી રહ્યું હતું.
બે લડવૈયા ઉભા થયા : JAAC દ્વારા મહિલાઓ અને બાળકોને અપીલ
આ આરપારની લડાઈમાં હવે પ્રદર્શનકારીઓ પીછેહઠ કરવા તૈયાર નથી. પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાખવા માટે તૈયાર કાશ્મીરના રસ્તાઓ પર હવે આંદોલનકારીઓના રૂપમાં '2 લડવૈયા' (મહિલાઓ અને બાળકો) ઉભા થઈ ગયા છે, જેઓ સરકારની બંદૂકો સામે પણ નીડરતાથી અડીખમ છે. પાકિસ્તાની સેના અને પોલીસની બર્બરતાનો સામનો કરવા માટે જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) એ હવે આ મોટું પગલું ભર્યું છે.
JAAC એ આ આંદોલનને વધુ તીવ્ર બનાવવા માટે હવે ઘરે-ઘરેથી મહિલાઓ અને બાળકોને પણ રસ્તા પર ઉતરી આવવા હાકલ કરી છે. તેમનું માનવું છે કે, જ્યાં સુધી આખો સમાજ એક થઈને શેરીઓમાં નહીં ઉતરે, ત્યાં સુધી ઈસ્લામાબાદમાં બેઠેલી આંધળી-બહેરી સરકારને જનતાની ચીસો સંભળાશે નહીં. મહિલાઓ અને બાળકોને આ મહા-આંદોલનમાં જોડાવાની આ અપીલે પાકિસ્તાની સુરક્ષા દળોની ઊંઘ હરામ કરી દીધી છે, કારણ કે, હવે આ લડાઈ માત્ર થોડા પ્રદર્શનકારીઓની નથી રહી, પરંતુ દરેક કાશ્મીરી પરિવારની બની ગઈ છે.
PoKમાં 6 નવી હત્યાઓ બાદ આક્રોશની આગ વધુ ભડકી
ગુલામ કાશ્મીરમાં પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવો કેટલો ખતરનાક બની ગયો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, સરકાર સામે શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓ પર સીધો ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. રાવલકોટમાં પોતાની માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહેલા સામાન્ય નાગરિકો પર પાકિસ્તાની સુરક્ષાદળોએ ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી. નવા બસ ટર્મિનલ નજીક જ્યારે લોકો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે સુરક્ષાદળોએ અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સુરક્ષાકર્મીઓએ ભીડ પર કાબૂ મેળવવાના બહાને સીધો ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 6 નિર્દોષ નાગરિકોના કરુણ મોત નીપજ્યા હતા.
આ હિંસક સંઘર્ષમાં માર્યા ગયેલા લોકોની ઓળખ ઝાહિદ મુગલ, ઝફર મુગલ, અરસલાન અકબર અને વાજિદ હયાત તરીકે થઈ છે. માર્યા ગયેલા લોકોમાં વાજિદ હયાત તે વિસ્તારના અત્યંત લોકપ્રિય સ્થાનિક ક્રિકેટર હતા, જેમના મોતના સમાચાર મળતા જ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. આ બર્બર કાર્યવાહીએ શાંત ટેકરીઓને આક્રોશની આગમાં હોમી દીધી છે.









