Get The App

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મોટો હુમલો! કાબુલમાં સાત લોકોના મોતનો દાવો

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મોટો હુમલો! કાબુલમાં સાત લોકોના મોતનો દાવો 1 - image


Pakistan-Afghanistan Conflict: પાકિસ્તાની સેનાએ સોમવારે (27મી એપ્રિલ) અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર અચાનક મિસાઈલ અને મોર્ટાર વડે હુમલો કરતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અફઘાનિસ્તાનના દાવા મુજબ, આ હુમલામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નિપજ્યાં, જ્યારે 85થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મહિનાની શરૂઆતમાં ચીનના ઉરુમકીમાં યોજાયેલી શાંતિ મંત્રણા બાદ આ પહેલી મોટી હિંસક ઘટના છે, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી ખટાશ આવી છે.

યુનિવર્સિટી અને રહેણાંક વિસ્તારો નિશાન પર

અફઘાન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ કુનાર પ્રાંતના અસદાબાદ શહેરમાં રહેણાંક મકાનો અને સૈયદ જમાલુદ્દીન અફઘાની યુનિવર્સિટીને નિશાન બનાવી હતી. ઈજાગ્રસ્ત થયેલા 85 લોકોમાં મહિલાઓ, માસૂમ બાળકો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોનો સમાવેશ થાય છે. રહેણાંક મકાનોમાં મિસાઈલો પડવાને કારણે મોટી માત્રામાં માલ-મિલકતને નુકસાન પહોંચ્યું છે અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચો: ઈરાન-રશિયાએ ટ્રમ્પનું વધાર્યું ટેન્શન ! પુતિને સમર્થન આપી કહ્યું, ‘તહેરાનના હિત માટે તમામ કામ કરીશું’

બંને દેશોનો પક્ષ

અફઘાનિસ્તાનના અધિકારીઓએ પાકિસ્તાનની આ કાર્યવાહીની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન અને 'યુદ્ધ અપરાધ' ગણાવ્યો છે. બીજી તરફ, પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પાકિસ્તાને ખાસ કરીને યુનિવર્સિટીને નિશાન બનાવવાના આરોપને સ્પષ્ટપણે નકારી કાઢતા તેને ખોટી માહિતી ગણાવી છે.

શાંતિ મંત્રણા પર જોખમ

ચાલુ મહિનામાં જ ચીનના મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવા માટે ચર્ચા થઈ હતી. જોકે, આ તાજા હુમલા બાદ શાંતિ મંત્રણા નિષ્ફળ જતી દેખાઈ રહી છે. આ હુમલાના વિરોધમાં અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવી શકે છે.