Pakistan Air Force In Saudi Arabia : અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરાવવાની જવાબદારી લેનાર પાકિસ્તાનને ઈરાન સાથે ‘ડબલ ગેમ’ શરૂ કરી દીધી હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાનને કદાચ એ ખબર નથી કે, મધ્યસ્થી એટલે બે પક્ષો વચ્ચે ન્યાય કરાવવાનો હોય છે. વાસ્તવમાં પાકિસ્તાને પોતાના 13 હજાર સૈનિકો અને 10થી 18 જેટલા ફાઈટેર જેટ સાઉદી અરેબિયા મોકલ્યા છે. તેણે ખાટી દેશના દરિયા કિનારે એક એરબેઝ પર પોતાની વાયુસેના તહેનાત કરી દીધી છે. પાકિસ્તાને એવા સમયે આ નિર્ણય લીધો છે, જ્યારે તેણે પોતાની રાજધાની ઈસ્લામાબાદમાં શનિવાર-રવિવારે અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા યોજવાની મેજબાની કરી હતી. જોકે આ મંત્રણા નિષ્ફળ ગઈ છે અને ફરી યુદ્ધના વાદળો ઘેરાવાનું શરૂ થઈ ગયા છે.
શું પાકિસ્તાન ટાર્ગેટ કરવાનું જોખમ ઉઠાવશે ?
આમ તો પાકિસ્તાન શાંતિ પ્રક્રિયા પર વિશ્વાસ રાખતું હોવાનો દાવો કરતો આવ્યો છે, પરંતુ ખાડી દેશોમાં સેના તહેનાત કરવા મામલે તેણે કહ્યું છે કે, તેણે સાઉદી અરેબિયામાં રક્ષણના ભાગરૂપે સેના તહેનાત કરી છે, તે કોઈના પર હુમલો કરવા માટે નહીં, પરંતુ તે દેશની રક્ષા કરવા માટે ગઈ છે. જોકે સાઉદીમાં પાકિસ્તાની વાયુસેનાની હાજરીએ ઈરાન સામે એક સવાલ ઉભો કર્યો છે... અને એ સવાલ એ છે કે, યુદ્ધવિરામ ખતમ થયા બાદ કદાચ યુદ્ધ ફરી શરૂ થાય તો શું પાકિસ્તાન તે દેશના ફાઈટર જેટ વિમાનોને ટાર્ગેટ કરવાનું જોખમ ઉઠાવશે.
સાઉદીનું રક્ષણ કરવા માટે વાયુસેના મોકલાઈ !
સિડની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં દક્ષિણ એશિયા સુરક્ષા નિષ્ણાત મુહમ્મદ ફૈસલે કહ્યું કે, ‘પાકિસ્તાને આ નિર્ણય સાઉદી અરેબેયિના વિશ્વાસ આપવા માટે લીધો છે. વાયુસેનાને માત્ર સાઉદીનું રક્ષણ કરવા માટે મોકલાઈ છે. સાઉદી પોતાના પૂર્વ પ્રાંતના તેલ પ્લાન્ટ પર ઈરાની હુમલાઓના કારણે પહેલેથી જ અસ્થિર થઈ ગયું છે. જોકે સાઉદીમાં પાકિસ્તાની સેનાની હાજરી ઈરાન સામે ધર્મસંકટ ઉભું કરી શકે છે, કારણ કે ઈરાન જ્યારે હુમલો કરશે ત્યારે તેણે પાકિસ્તાની વિમાનોને નુકશાન ન થાય તે પર ધ્યાન આપવું પડશે.’
પાકિસ્તાન ઈરાન-સાઉદી વચ્ચે મધ્યસ્થી કરાવશે !
મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાન પાકિસ્તાનને નારાજ કરવા ઈચ્છતું નથી. ગયા અઠવાડિયે પાકિસ્તાનમાં સાઉદીના નાણાંમંત્રી મોહમ્મદ બિલ અબ્દુલ્લા અલ-જદાન પાકિસ્તાન ગયા હતા અને તે જ સમયે ઈરાનનું પ્રતિનિધિમંડળ પણ ત્યાં પહોંચ્યું હતું. તેથી એવા સંકેત મળી રહ્યા છે કે, પાકિસ્તાન ઈરાન-સાઉદી અરેબિયા વચ્ચે પણ મધ્યસ્થી કરાવી રહ્યું છે. એવી વિગતો પણ સામે આવી છે કે, ખાડી દેશોમાં પાકિસ્તાની વાયુસેનાના વિમાનોની તહેના કરવાની માહિતી ઈરાનને આપી હોવાની સંભાવના ઘણી ઓછી છે. આ ઉપરાંત ઉત્તર ખાડી ક્ષેત્રમાં પાકિસ્તાનના ત્રણ સી-130 પરિવહન વિમાન અને ઈંધણ ભરી શકતા બે ટેન્કર જોવા મળ્યા છે, પરંતુ ફાઈટર જેટ જોવા મળ્યા નથી, કદાચ તેના ટ્રાન્સપોન્ડર બંધ હતા.
સાઉદીએ પાકિસ્તાની એર ફોર્સ તહેનાતની પુષ્ટી કરી
ચોંકાવનારી વાત એ છે કે, સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાની એર ફોર્સ તહેનાત કરાઈ હોવાની પુષ્ટી કરી છે. સત્તાવાર નિવેદન મુજબ, ‘પાકિસ્તાનના આ નિર્ણયથી બંને દેશો વચ્ચે સશસ્ત્ર દળો વચ્ચેનો સમન્વય મજબૂત થશે અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક સુરક્ષા મજબૂત થશે.’ પાકિસ્તાની ફાઈટર જેટ સાઉદીમાં સૈન્ય વ્યૂહરચના, કવાયત, પેટ્રોલિંગ જેવા કામ કરવાની સંભાવના છે. જોકે હાલ તે સાઉદીના પૂર્વ ભાગ પર અને ઓઈલ પ્લાન્ટોની હવાઈ સુરક્ષા પર ધ્યાન આપશે.


