Get The App

પાકિસ્તાન નિષ્ફળ રહ્યા બાદ હવે શાંતિ મંત્રણામાં મધ્યસ્થતા કરશે આ દેશ, ઈરાને ખુદ આપ્યા સંકેત!

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન નિષ્ફળ રહ્યા બાદ હવે શાંતિ મંત્રણામાં મધ્યસ્થતા કરશે આ દેશ, ઈરાને ખુદ આપ્યા સંકેત! 1 - image

US Iran Conflict : પાકિસ્તાન અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરાવવામાં નિષ્ફળ ગયું છે. બંને દેશો વચ્ચે ઈસ્લામાબાદમાં બે વખત શાંતિ મંત્રણા યોજાઈ, જેમાં કોઈ પરિણામ આવ્યું નથી. જોકે હવે અહેવાલ મુજબ, ઓમાન બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ પહેલા ઈસ્લામાબાદની મંત્રણામાં એવો ડ્રામા થયો કે, અમેરિકન ટીમ પહોંચી, પરંતુ ઈરાને આવવાનો ઈન્કાર કર્યો, પછી જ્યારે ઈરાનની ટીમ પહોંચી ગઈ તો અમેરિકા આવ્યું ન હતું. ત્યારપછી ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી (Iran Foreign Minister Abbas Araghchi) ઈસ્લામબાદથી સીધા ઓમાન પહોંચ્યા હતા, પછી તેમણે રશિયાની મુલાકાત લીધી હતી, જેના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) સખત આક્રોશ વ્યક્ત કરી ઈરાનને ધમકી આપી છે.

ઈરાનના વિદેશ મંત્રીએ રશિયાની મુલાકાત લેતા ટ્રમ્પ નારાજ

ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે, હવે ઈરાન સાથે કોઈપણ વાત કરવામાં નહીં આવે, તેમાં સમય બરબાદ થશે. જો ઈરાનને સમજૂતી કરવાની ઈચ્છા હોય તો તે અમને સીધો જ ફોન કરી શકે છે. ઈસ્લામાબાદમાં મંત્રણા પડી ભાંગ્યા બાદ ઈરાનના વિદેશમંત્રી ત્યાંથી સીધા ઓમાન પહોંચી ગયા હતા, ત્યારબાદ તેમણે રશિયાની પણ મુલાકાત લીધી છે. આ કારણે ટ્રમ્પ નારાજ થયા છે અને તેમણે ઈરાનની તમામ પાઈપલાઈનો ઉડાવી દેવાની ધમકી આપી છે.

આ પણ વાંચો : 'હું રેપિસ્ટ નથી, બકવાસ બંધ કરો...' ફાયરિંગ કરનારા આરોપીનો પત્ર વાંચનારી મહિલા પત્રકાર પર ટ્રમ્પ ભડક્યા

અમેરિકા-ઈરાન વચ્ચે હવે ઓમાનમાં યોજાશે શાંતિ વાર્તા

સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા-ઈરાન વચ્ચે નવી શાંતિ વાર્તા ઓમાનમાં યોજાઈ શકે છે. ઓમાનમાં બેઠક યોજવાની ઈરાનની પહેલેથી જ ઈચ્છા હતી. થોડા દિવસ પહેલા પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર ઓમાન ગયા હતા, ત્યારપછી એવું મનાઈ રહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા બે દેશો વચ્ચે સમજૂતી કરાવવી અશક્ય નથી. ઈસ્લામાબાદ પહેલા ઓમાનમાં જ શાંતિ મંત્રણા યોજાવાની સંભાવના હતી. જ્યારે અમેરિકા-ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા કર્યા હતા, ત્યારે ઓમાન જ વાતચીત ચાલી રહી હતી.

ઈરાનના વિદેશ મંત્રીએ ઓમાનના સુલ્તાન સાથે કરી મુલાકાત

ઈરાનના વિદેશ મંત્રી અને ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ-સઈદ વચ્ચે ઓમાનની રાજધાની મસ્કતમાં બેઠક યોજાઈ હતી. આ દરમિયાન અરાઘચીએ કહ્યું કે, ‘મધ્ય-પૂર્વમાં અમેરિકન સેના તહેનાત હોવાથી અસુરક્ષા ઉભી થઈ છે. તેમણે અન્ય દેશના હસ્તક્ષેપ વગર પ્રાદેશિક સુરક્ષા વધારવાની માંગ કરી છે. અરાઘચીની ઓમાન મુલાકાત બાદ ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, વિદેશ મંત્રીએ હોર્મુઝ જળમાર્ગ, ખાડી દેશોના જળમાર્ગને સુરક્ષિત કરવા તેમજ ઈરાન-અમેરિકા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસો અંગે ઓમાન સાથે ચર્ચા કરી છે.

આ પણ વાંચો : 72 કલાકમાં ડીલ કરો અથવા પાઈપલાઈનોમાં વિસ્ફોટ માટે તૈયાર રહો, ટ્રમ્પની ઈરાનને ચેતવણી